ઇસ્લામના પ્રારંભે દરેક મુસલમાન પર પંજવક્તા નમાઝ ફરજિયાત કરવામાં આવી ત્યાર પછી મદીના શહેરમાં નમાઝના સમયે લોકોને મસ્જિદમાં બોલાવવા માટે બુલંદ અવાજે અઝાન આપવી એવું ઠરાવવામાં આવ્યું હતું. હિજરી સનના પ્રથમ વર્ષની આ વાત છે. પછીની સદીઓમાં કાળક્રમે તકરીર અને અઝાન માટે મસ્જિદોમાં લાઉડ સ્પીકરે પણ માનભેર સ્થાન મેળવી લીધું. એવું સ્થાન કે, લાઉડ સ્પીકર વિનાની મસ્જિદની કલ્પના પણ કોઇ કરી શકતું નથી. અરે એવી વાત કોઈ કરે તો પણ જાણે ઇસ્લામ-વિરોધી વાત કરી નાખી હોય એવી નજરે તેને જોવામાં આવે.
મુસ્લિમોના મનમાં ધાર્મિક આદરભાવ હોય એટલે જોશથી પોકારાતી અઝાન સામે તેમને કોઈ વાંધો આવતો નથી (વાંધો હોય તો કોઇ ઉઠાવતું નથી-ઉઠાવી શકતું નથી). પણ જેમને ઇસ્લામ કે નમાઝ સાથે કંઇ લેવા-દેવા નથી તેમણે નાછૂટકે અઝાન સહન કરવી પડે છે. ખાસ કરીને ફજર(વહેલી સવાર)ની અઝાન. એનું મૂળ કારણ અઝાન નથી. અઝાન પ્રત્યે કદાચ કોઈના મનમાં કંઇ કચવાટ ન પણ હોય. પરંતુ મુઅઝ્ઝિન (અઝાન આપનાર)નો ઊંચો અવાજ જ્યારે લાઉડ સ્પીકર માફરતે અનેક ગણો બેવડાઈને ચોતરફ વહે છે ત્યારે બાકાયદા ધ્વનિ-પ્રદૂષણ વ્યાપી ઉઠે છે. સવારના શાંત વાતાવરણમાં જ્યારે તે સાદ પાડે છે ‘અસ્સલાતો ખૈરુમ્મિનન્નૌમ...’ (બેશક, નિદ્રા કરતા નમાઝ શ્રેષ્ઠ છે) ત્યારે સોનુ નિગમ જેવા અનેક નિર્દોષ લોકોની ઊંઘ હરામ થઈ જાય છે.
અજ્ઞાનતા અને હઠાગ્રાહને કારણે મુસલમાનો એ સમજવા તૈયાર નથી કે, કોઇને તમારી અઝાન સામે વાંધો નથી પણ માત્ર લાઉડ-સ્પીકરના ઉપયોગ સામે છે. એક તો લાઉડ-સ્પીકર અને એમાંય વળી બાંગીનો હાઇ-પિચનો લલકાર એટલે કારેલાને લીમડે ચડાવ્યા જેવો ઘાટ ઘડાય છે. ઉપરાંત દર શુક્રવારે જુમ્માની નમાઝમાં થતી તકરીર માટે ભૂંગળા વપરાય. ચીસા-ચીસ અને બૂમબરાડાયુક્ત ઉર્દૂ ભાષાની વાએઝ કોણ જાણે કેટલા લોકોના ભેજાનું દહીં કરી નાખતી હશે.
આપણે ત્યાં મોટા ભાગે કોઈ શુદ્ધ ઉચ્ચારથી અઝાન આપતું જ નથી. (અઝાન આમ તો પોકારવી, પઢવી એવું બોલવું જોઈએ પણ ગુજરાતીમાં અઝાન આપવી-એ રીતે બોલાય છે.) મૂળે અઝાન આખી અરબી ભાષામાં છે. એમાં વળી ઉચ્ચાર અને આરોહ-અવરોહ ભારતીય બોલીઓથી તદ્દન ભિન્ન એટલે જેમને અરબી જ બિલકુલ આવડતું ન હોય એમની અઝાનના ઉચ્ચારોનું અપાર અને બેઢંગુ વૈવિધ્ય સાંભળવા મળે. આલિમોના મતે ઉચ્ચારમાં દસ-બાર જેવી ભૂલો એવી છે જે થાય તો બાંગી પૂણ્ય કરવા જતાં પાપમાં પડે. આમાં તેનો કસૂર નથી. પાંચ સમયની અઝાન આપવા અને મસ્જિદની સંભાળ રાખવા માટે સાવ મામૂલી પગારે નોકરી પર રાખવામાં આવતા માણસ પાસે શુદ્ધ ઉચ્ચારની અપેક્ષા રાખી ન શકાય. એને તો સ્પીકર હોય કે ન હોય અઝાન આપવાની હોય.
નમાઝીઓને નમાઝના સમયની ખબર પાડવા માટે આધુનિક સમયમાં ઘડિયાળ, એલાર્મ, મોબાઇલ ફોન જેવાં સાધનો હાથવગાં થઈ ગયાં છે. એલાર્મથી તે સવારે અઝાનથી પણ પાંચ-દસ મિનિટ વહેલા ઉઠીને સમયસર મસ્જિદે પહોંચી શકે છે. અઝાન માટે અહીં લાઉડસ્પીકરની અનિવાર્યતા ક્યાંય ડોકાતી નથી. જેમને નમાઝ પઢવી જ છે તેઓ અઝાનની રાહ જોતા નથી.
કોઇની ઊંઘમાં ખલેલ થતી હોય એટલા સ્વરમાં કુરાનની તિલાવત પણ ન કરવી જોઈએ. એવી સરળ અને પ્રેક્ટિકલ વાત સમજાવનાર ઇસ્લામ ધર્મના માનનારા લોકોએ લાઉડ સ્પીકર જેવા ત્રાસદાયક યંત્રને મસ્જિદ જેવી પવિત્ર અને શાંત જગ્યાનું અભિન્ન અંગ કઈ રીતે બનાવી દીધું? તે એક આશ્ચર્યની વાત છે. સૌ કોઇને પોતાનો જ ધર્મ મહાન છે એવું બતાવી દેવાનો મોહ હોય છે. વધતા ધાર્મિક ઘોંઘાટ વચ્ચે દરેક ધર્મજૂથોએ પોતાનો અવાજ ઊંચો રાખવા આ ખતરનાક સાધનને અપનાવી લીધું છે. કોઇ એને છોડી દે એ તો દૂરની વાત છે પણ આ અનિષ્ટ પર કોઈ ટીકા કરે તો એમાંય વાંકુ પડી જાય છે.
બશીર બદ્રે એક ગઝલમાં અઝાનનું સુંદર ચિત્ર આલેખ્યું છેઃ
ગુલોં પે લિખતી હુઈ લા-ઇલાહા ઈલ્લલ્લાહ,
પહાળિયોં સે ઉતરતી અઝાન કી ખુશ્બુ
બેસુરા બાંગીના લાઉડ સ્પીકર પરના બરાડા સાંભળીને બશીર સાહેબને પણ ફેર વિચારણ કરવાનું મન થઈ જાય તો નવાઈ નહીં.
આ બ્લોગ ઉપર પત્રકાર અને કાર્ટૂૂનિસ્ટ ઇમરાન દલ દ્વારા લેખો અને કાર્ટૂન મૂકવામાં આવે છે. એ વિશે આપના અભિપ્રાયો આવકાર્ય છે.
Subscribe to:
Post Comments (Atom)
Featured post
રાજકોટની એક વાર્તાશિબિરનો અધૂરો અહેવાલ
(રાજકોટમાં સાહિત્યિક મંડળ ‘ભારવિ’ દ્વારા એક વાર્તાશિબિરનું આયોજન થયું હતું . મારી ડાયરીમાં એનો શીર્ષક વિનાનો , અધૂરો , ઉતાવળિયો અને કાચ...

-
(રાજકોટમાં સાહિત્યિક મંડળ ‘ભારવિ’ દ્વારા એક વાર્તાશિબિરનું આયોજન થયું હતું . મારી ડાયરીમાં એનો શીર્ષક વિનાનો , અધૂરો , ઉતાવળિયો અને કાચ...
-
ગ મતી પ્રવૃત્તિ કરવામાં જે આનંદ મળે એવી જ મજા એ કામ વિશે વાત કરવામાં પણ મળે. એક જમાનો હતો જ્યારે વાંચન-લેખનની સાથે મેં નવી હોબી તરીકે ...
-
રોટી, કપડાં અને મકાન એ દરેક મનુષ્યની પ્રાથમિક જરૂરિયાત છે. માણસ જ નહિ બલકે પશુ-પંખીને પણ રહેણાંક અને આહારની જરૂર તો પડતી જ હોય છે. જોકે, ...
No comments:
Post a Comment