Tuesday 29 November 2022

દૃશ્યમ્-૨: દૃશ્યોની જમાવટ વચ્ચે બેકગ્રાઉન્ડ મ્યુઝિકનો ઘોંઘાટ


આ વર્ષે જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી એ અજય દેવગન, તબ્બુ અને અક્ષય ખન્ના અભિનીત ફિલ્મ 'દ્રશ્યમ-૨' ૧૮ નવેમ્બરે રિલીઝ થઈ છે. અભિષેક પાઠક નિર્દેશિત આ ફિલ્મ ગત વર્ષે આ જ નામે રિલીઝ થયેલી મલયાલમ ફિલ્મની સત્તાવાર રિમેક છે. વર્ષ ૨૦૧૫માં આવેલી ‘દૃશ્યમ’નો આ બીજો ભાગ હોવાથી સ્વાભાવિક છે કે એમાં ફિલ્મની અંદર ભેદી છે એવી હત્યાની એની એ જ કથા છે, મુખ્ય કલાકારો પણ એ જ છે. તપાસ જ્યાં અટકી હતી, એ નવા પોલીસ અધિકારી આવતાં ફરીથી શરૂ કરે છે. એક પછી એક કડીઓ ખૂલતી જાય છે, એમાં સરેરાશ દર્શકોને મનોરંજન મળે છે.  

ફિલ્મની શરૂઆતમાં કોઈ સનસનીખેજ દૃશ્ય આવે, જેનો ફિલ્મ સાથે કોઈ દેખીતો સંબંધ હોવાનું ન લાગે પણ જ્યારે ફિલ્મ ચરમસીમાએ પહોંચવામાં હોય એ પહેલાં જ પ્રારંભના એ સીનનો તંતુ જોડાઈ જાય. આ ઘસાયેલી ટ્રિકનો દૃશ્યમ-૨માં ઉપયોગ કરવામાં આવ્યો છે, એટલે શરૂઆતનો ખાસ્સો એવો સમય કંટાળાજનક લાગે છે. ત્યાં સુધીમાં હત્યાનો ભેદ ઉકેલવામાં ઇન્સ્પેક્ટર જનરલ તરીકે અક્ષય ખન્નાની એન્ટ્રી થતાં ફિલ્મ ગતિ પકડે છે. સબ-ઇન્સ્પેક્ટર લક્ષ્મીકાંત ગાયતોન્ડે (કમલેશ સાવંત) અને ઇન્સ્પેક્ટર જનરલ વચ્ચેના સંવાદમાં હાસ્ય જન્માવવાનો પ્રયાસ કૃતક જણાય છે. વિષય ભારેખમ હોવાથી ફિલ્મને થોડી હળવી રાખવા કદાચ વચ્ચે હાસ્યનો પ્રયોગ કરવામાં આવ્યો છે, એ જૂની ફોર્મ્યુલા પણ અહીં અપેક્ષા પ્રમાણે કારગત નીવડી નથી. 

પોલીસ, કોર્ટ જેવા તંત્રને ફિલ્મની પટકથામાં આવરી લેવામાં આવ્યા હોવાથી એને સંગત કેટલીક મર્યાદાઓ પણ જોવા મળે છે. આઇપીએસ કક્ષાનો કોઈ અધિકારી હત્યાકેસના શકમંદના ઘરે અચાનક જઈ પહોંચે એ વાત ગળે ઊતરતી નથી. ચર્ચાસ્પદ અને અણઉકેલ હત્યાના બનાવમાં મૃતકનું મનાતું હાડપિંજર ફોરેન્સિક સાયન્સની લેબમાં રાખવામાં આવે પણ ત્યાં માત્ર એક જ ચોકીદાર હોય, સીસીટીવી કેમેરા જ ન હોય, ક્યા યહ મુમકિન હૈ? ખેર, આ તો કાલ્પનિક સ્ટોરી પરથી મનોરંજનાર્થે સર્જાયેલું ચિત્રપટ છે, એમાં તર્ક થોડા લડાવવાના હોય! પરંપરા મુજબ દર્શકો મગજ બહાર મૂકીને ફિલ્મ જોવા જાય છે, બે કલાક રોમાંચ મેળવવા જાય છે, એ રીતે જોઈએ તો કોઈ વાંધો નથી. પણ હવે ભારતીય દર્શક પરિપક્વ બન્યો છે. એટલે સવાલ તો બનતા હી હૈ!   

ફિલ્મમાં એક રસપ્રદ વાત એ જોવા મળી કે એમાં કથાની અંદર ઉપકથા આવે છે, જોકે એ પાસાને વધારે અવકાશ આપવામાં આવ્યો નથી. વાત એમ છે કે અપરાધી વિજય(અજય દેવગન)ને એવી ગળા સુધીની ખાતરી છે કે એક દિવસ તે પકડાશે. એટલે તે આખા બનાવને મળતી આવે એવી નવલકથા લખે છે. પટકથા લેખક મુરાદ અલી(સૌરભ શુક્લા) સાથે એ કથા ઉપરથી ફિલ્મ બનાવવાના બહાને મિત્રતા કેળવી, એના નામે વિજયે એ પુસ્તકની થોડી નકલો પ્રસિદ્ધ કરાવી લીધી હોય છે. પછી જ્યારે વિજયને પકડીને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે એ વખતે હાડપિંજર અન્ય મૃતકનું હોવાનું સામે આવતાં જ વિજયની વકીલ ન્યાયધીશને કહે છે કે પોલીસે આ કેસની સ્ટોરી નવલકથા ઉપરથી ઉપજાવી કાઢી છે! અને જજ સાહેબ પણ એ દલીલ સ્વીકારી લે છે! 

આવી કેટલીક મર્યાદાઓ હોવા છતાં ફિલ્મને સારો આવકાર મળી રહ્યો છે. બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી હોવાના સમાચારો પણ આવી રહ્યા છે. અલબત્ત દર્શકોના માથાં પણ ફિલ્મ જોયા બાદ દુખવા લાગ્યા. પૂછો ક્યૂં? અરે, ભાઈ સસ્પેન્સ અને થ્રિલર મૂવી હોય એટલે દિલધડક દૃશ્યો વખતે હૃદયના ધબકારા વધારી મૂકે એવું બેકગ્રાઉન્ડ મ્યુઝિક નાછૂટકે સાંભળવું પડે ને! એ સંગીતરૂપી ઘોંઘાટ પણ ફિલ્મ માણવામાં બાધારૂપ બને છે.

(‘અભિયાન’ મેગેઝિન ૦૩ ડિસેમ્બર, ૨૦૨૨માં પ્રકાશિત)


Thursday 3 November 2022

અભિનેત્રી વૈશાલી ઠક્કરની આત્મહત્યાનો કોયડો

ઘરના આંગણે લગ્નની શરણાઈઓ વાગવાને માત્ર પાંચ દિવસની વાર હતી. મમ્મી-પપ્પા અને ભાઈના હૈયાં આનંદની છલોછલ હતા. દિવાળીના તહેવારો પણ હાથવેંતમાં હોવાથી ખુશીઓ પણ બમણી થવાની હતી. પણ વિધાતાને જાણે ઠક્કર પરિવારની આ ખુશી મંજૂર નહોતી. હજી જુલાઈ મહિનામાં જ તેણે થાઈલેન્ડમાં જન્મદિવસની મનભરીને ઉજવણી કરી. પણ તેના ચહેરાનું આ સ્મિત એના મિત્રોને જરા વિચિત્ર જણાતું હતું. એક વેદના હતી, જે ખુશમિજાજ મુખડા પાછળથી ડોકિયાં કરતી હતી. શી હતી એ પીડા? શાં હતાં એનાં કારણો? તેણે બધું જ જાહેર કર્યું, પણ ત્યાં સુધીમાં તો એ જતી રહી હતી હંમેશને માટે!



આ વાત છે ‘યહ રિશ્તા ક્યા કેહલાતા હૈ’ અને ‘સસુરાલ સિમર કા’ જેવી ટીવી સીરિયલથી દર્શકોના દિલમાં સ્થાન મેળવી ચુકેલી લોકપ્રિય અભિનેત્રી વૈશાલી ઠક્કરની. તેણે ૧૫મી ઓક્ટોબરે રાતે ઇન્દોર શહેરની સાંઈ બાગ કોલોનીમાં આવેલા પોતાના ઘરે ગળેફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી. આ ઘટનાએ ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં ભારે આઘાત જન્માવ્યો. ૩૦ વર્ષની કુમળી વયે અપાર ચાહના મેળવી લેનાર વૈશાલીના જવાથી તેના ચાહકો પણ હજી સુધી શોકમાંથી બહાર આવ્યા નથી. 

વૈશાલીએ જ્યાં આત્મહત્યા કરી એ ઓરડામાંથી પોલીસને એક સુસાઈડ નોટ મળી આવી હતી. એમાં લખ્યા મુજબ તેને તેના પાડોશમાં રહેતો પૂર્વ બોયફ્રેન્ડ રાહુલ નવલાની છેલ્લા કેટલાક વર્ષોથી પજવતો હતો. તે શારીરિક અને માનસિક ત્રાસ પણ આપતો હતો. એમાં રાહુલની પત્ની દિશા પણ સાથ આપી રહી હતી. રાહુલને બે બાળકો પણ છે.  રાહુલ વૈશાલીને લગ્ન કરવા દેતો ન હતો. 

વૈશાલીના લગ્ન કેલિફોર્નિયાના સોફ્ટવેર એન્જિનિયર મિતેશ સાથે થવાના હતા. બંનેએ લગ્ન માટે કાયદાકીય પ્રક્રિયા પણ શરૂ કરી દીધી હતી. લગ્નની નોંધણી માટેની અરજી ઈન્દોરની જિલ્લા કલેક્ટર કચેરીમાં કરવામાં આવી હતી. જે મુજબ મિતેશ સુરેન્દ્ર કુમાર ગોર અને વૈશાલી હરભગવાન ઠક્કરની અરજી 20 સપ્ટેમ્બરે મેરેજ એક્ટ હેઠળ મળી હતી. નોંધણી મુજબ, લગ્ન અરજીની તારીખથી લગભગ એકથી ત્રણ મહિનામાં થવાના હતા.

ઇન્દોરમાં જ મંગેતર મિતેશ ગોર સાથે વૈશાલીના લગ્ન ૨૦ ઓક્ટોબરે કરવાના નક્કી થયા હતા. એવામાં આ સગપણ તોડાવવા રાહુલે વૈશાલી સાથેની ખાનગી તસવીર મિતેશને મોકલી દીધી હતી. રાહુલની આવી હરકતોથી છેવટે વૈશાલી હારી ગઈ હતી. 

આપઘાતનો બનાવ બન્યાના ચોથા દિવસે પોલીસે ઇન્દોર પાસે જ રાહુલને પકડી લીધો. આઠ દિવસ સુધી રિમાન્ડ હેઠળ રાખ્યા બાદ કોર્ટમાં રજુ કરવામાં આવ્યો, અને કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો. રાહુલ વિરુદ્ધ સજ્જડ પુરાવા હોવાનો પોલીસે દાવો કર્યો છે. પોલીસે તેના મોબાઇલ ફોન કબજે કરી એમાંથી ડિલિટ કરાયેલો ડેટા પણ પરત મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. 

વૈશાલીના વ્યક્તિગત સામાનમાંથી મળેલી ડાયરીમાંથી મહત્ત્વની વિગતો બહાર આવી. એ ડાયરી પ્રમાણે રાહુલ તેને છેલ્લા કેટલાય સમયથી હેરાન કરતો હતો. આ મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો તે રસ્તો શોધતી હતી. કદાચ આ રસ્તો તેને આત્મહત્યામાં દેખાયો. 

વૈશાલીએ પોતાની સુસાઈડ નોટમાં લખ્યું છે- 

મમ્મી, પપ્પા. 

બસ તમે હવે કંઈ ના કરો. તમે લોકો પણ મારા માટે ખૂબ જ પરેશાન થશો. માત્ર હું જ જાણું છું કે 2 વર્ષમાં મેં કેવું યુદ્ધ લડ્યું છે. રાહુલ નવલાનીએ મારી સાથે શું ખોટું કર્યું છે તે પણ હું કહી શકતી નથી. મારું કેવી રીતે ભાવનાત્મક રીતે શોષણ થયું, શારીરિક શોષણ થયું અને આખરે તેણે ‘હું તારા લગ્ન થવા દઈશ નહીં’ એવું કહેલું એ કરી બતાવ્યું. જો દીકરી નહીં હોય, તો એના વિશેની કોઈ સમસ્યા પણ નહિ રહે. હું જાઉં છું મા. લવ યુ પપ્પા-મા. મને માફ કરજો. હું સારી દીકરી ન બની શકી. રાહુલ અને દિશાએ મને બે વર્ષ સુધી માનસિક રીતે ટોર્ચર કરી. કૃપા કરીને રાહુલ અને તેના પરિવારને સજા અપાવજો, નહીં તો મારા આત્માને શાંતિ નહિ મળે. તમને મારા સમ છે. ખુશ રહેજો. હું તમને ખૂબ પ્રેમ કરું છું. મિતેશ પ્રત્યે પણ હું દિલગીર છું. 

લિ. વૈશાલી ઠક્કર

તેનાં માતા અન્નુ કૌર ઠક્કરનું કહેવું છે કે ‘વૈશાલીએ પોતાની સુસાઈડ નોટમાં લખ્યું છે કે તેને ન્યાય મળવો જોઈએ, અમે પણ ઈચ્છીએ છીએ કે વૈશાલીને ન્યાય મળે. રાહુલ અને તેની પત્ની ત્રાસ આપતા હતા. તેને ઘરે બોલાવીને સમજાવવામાં આવ્યો, પરંતુ તે માન્યો ન હતો, તેની પત્ની પણ રાહુલને સાચો માનતી હતી અને કહેતી હતી કે મારા પતિ સાચા છે, વૈશાલી ખોટી છે, તેણે રાહુલને ફસાવી દીધો છે. તેના કારણે મારું ઘર બરબાદ થઈ રહ્યું છે પરંતુ રાહુલને કારણે વૈશાલીનું જીવન બરબાદ થઈ ગયું.’ 

વૈશાલીના ભાઈ નીરજ ઠક્કરે જાહેર કર્યું કે રાહુલ અને તેના પિતા પ્લાયવૂડના જથ્થાબંધ વેપારી છે. ઉપરાંત રાહુલ લૈમનેટ્સ નામે પેઢી પણ ચલાવે છે. રાહુલ અને વૈશાલીના પિતા વચ્ચે દોસ્તી હોવાથી બન્ને એકમેકના પરિચયમાં આવ્યા હતા. રાહુલ ક્યારેય કોલેજ ગયો નથી. છેલ્લા ૧૦-૧૨ વર્ષથી તે વૈશાલીની સોસાયટીમાં રહેતો હતો. 

વૈશાલીએ કેરિયર અને લગ્નજીવન અંગે ઘણા સપના જોયાં હતાં. પણ એક માણસે તેની જિંદગી બરબાદ કરી નાખી. આ દરમ્યાન વૈશાલીના મિત્ર નિશાંત મલકાનીએ એક ઇન્ટરવ્યુમાં બન્ને વિશે ઘણા ખુલાસા કર્યા. નિશાંતે જણાવ્યું હતું કે, ‘રાહુલ વૈશાલીને ખૂબ હેરાન કરતો હતો અને તે વૈશાલીના મંગેતરને પણ મેસેજ કરીને પરેશાન કરતો હતો. રાહુલ વૈશાલીને આગળ વધવા દેતો ન હતો. આ કારણે એ ડિપ્રેશનમાં રહેવા લાગી. તેણે મનોચિકિત્સકની મદદ પણ લીધી. વૈશાલી સેટ પર ખૂબ રડતી હતી અને યોગ્ય રીતે અભિનય પણ કરી શકતી નહોતી.’

ધરપકડ બાદ રાહુલને 28 ઓક્ટોબર સુધીના રિમાન્ડ પર લેવામાં આવ્યો હતો. જોકે પોલીસને રાહુલની પૂછપરછમાં અત્યાર સુધી કોઈ મહત્વપૂર્ણ પુરાવા મળ્યા નથી. તેના રિમાન્ડ પણ પૂરા થઈ ગયા છે. વૈશાલીની આત્મહત્યા બાદ રાહુલ તેની પત્ની સાથે ફરાર થઈ ગયો હતો. રાહુલ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો, પરંતુ તેની પત્ની દિશા હજુ તા.૩૧ ઓક્ટબર સુધી પોલીસને હાથ લાગી નથી. રાહુલે પૂછપરછ દરમિયાન પોલીસને તપાસમાં મદદ મળે એવી કોઈ વિગતો આપી નથી. પરંતુ તેણે એક નવો દાવો કર્યો, જેનાથી પોલીસ મૂંઝવણમાં મુકાઈ છે. પૂછપરછ દરમિયાન રાહુલે પોલીસને જણાવ્યું કે વૈશાલી ઠક્કરને ટીવી ઈન્ડસ્ટ્રીમાં કામ મળતું ન હતું, તેથી તે તેના સંપર્કમાં હતી. રાહુલે દાવો કર્યો હતો કે વૈશાલી આર્થિક રીતે નબળી પડી ગઈ હતી. તેની પાસે પૈસા ન હોવાથી તે વૈશાલીને આર્થિક મદદ કરતો હતો.

રાહુલે પોલીસ સમક્ષ કબૂલાત પણ કરી હતી કે વૈશાલી સાથે તેની સારી મિત્રતા હતી. તેણે એવું પણ કહ્યું કે વૈશાલી તેના પિતાની મદદ લેવા માંગતી ન હતી અને તેથી જ તેણે અભિનેત્રીને ઘણી વખત પૈસાની મદદ કરી હતી. પરંતુ પોલીસને રાહુલના આ દાવા પર કોઈ વિશ્વાસ નથી. આમ છતાં પોલીસ હવે રાહુલ અને વૈશાલીના બેંક ખાતાની પણ તપાસ કરશે. 

પોલીસે કહ્યું, કે રાહુલ તપાસમાં સહકાર આપી રહ્યો નથી. આવી સ્થિતિમાં જો જરૂર પડે તો તેનો નાર્કો ટેસ્ટ કરાવવા માટે કોર્ટની પરવાનગી પણ લઈ શકાય છે. પોલીસે રાહુલ નવલાનીના ત્રણ મોબાઈલ ફોન કબજે કર્યા હતા. વૈશાલીની આત્મહત્યા બાદ રાહુલે તેનો ડેટા ડિલીટ કરી નાખ્યો હતો. અલબત્ત પોલીસે બે મોબાઈલનો ડેટા રિકવર કર્યો છે, પરંતુ ત્રીજા ફોનમાં સમસ્યા સામે આવી રહી છે. એક ન્યૂઝ ચેનલના રિપોર્ટ અનુસાર ત્રીજો ફોન આઇફોન છે, જેનો લોક ન ખૂલવાને કારણે પોલીસની ચિંતા વધી ગઈ છે. આ અંગે પોલીસે આઈફોન કંપનીને મદદ માટે પત્ર પણ લખ્યો છે. ઉપરાંત રાહુલે પોલીસ સમક્ષ પોતાની પત્ની વિશે કંઈ કહેવાનો ઇન્કાર કર્યો હતો. પોલીસ એની શોધખોળ ચલાવી રહી છે. શક્ય છે કે પોલીસને તેની પાસેથી કેસના કોઈ અન્ય પુરાવા મળી આવે. 

અહીં એ વાત પણ નોંધપાત્ર છે કે ગયા વર્ષે વૈશાલીનું પ્રથમ સગપણ કેન્યા સ્થિત ડેન્ટલ સર્જન અભિનંદનસિંઘ સાથે થયેલું જે કોઈ કારણથી તૂટી ગયું હતું.

(‘અભિયાન’ મેગેઝિનના ૧૨ નવેમ્બર, ૨૦૨૨ના અંકમાં આ લેખ થોડો ટૂંકાવીને પ્રગટ  થયો હતો.)

Featured post

રાજકોટની એક વાર્તાશિબિરનો અધૂરો અહેવાલ

(રાજકોટમાં  સાહિત્યિક મંડળ ‘ભારવિ’ દ્વારા  એક વાર્તાશિબિરનું આયોજન થયું હતું . મારી ડાયરીમાં એનો શીર્ષક વિનાનો , અધૂરો , ઉતાવળિયો અને કાચ...