આઠમી સદીમાં મુહમ્મદ ઇબ્ને સિરીન નામે એક
રહસ્યવાદી થઈ ગયા. ઇરાકના બસરા શહેરમાં તેમનો જન્મ થયો હતો. તેઓ સ્વપ્નના અર્થઘટન
કરવા માટે પણ જાણીતા હતા. આ બારામાં તેમણે એક પુસ્તક પણ લખ્યું: તઅ્બીરુર્રુઅ્યા.
દિલ્હીથી ‘તઅ્બીરનામા-એ-ખ્વાબ’ નામથી એનો ઉર્દૂ અનુવાદ પ્રકાશિત થયો. આ ચોપડી યાદ
આવવાનું કારણ માત્ર એટલું જ કે હમણાં કોઈએ ફેસબુક પણ સવાલ ઉઠાવ્યો હતો કે, સપનામાં
મડદું જોવા મળ્યું. એનો મતલબ શો થાય?
ઇબ્ને સિરીને તેમના સદરહૂ પુસ્તકમાં સ્વપ્ન અને
મૃત્યુ વિષય પર એક આખું પ્રકરણ લખ્યું છે. તેઓ ફરમાવે છે (હવે પછીના તમામ શબ્દો
એમના જ, કૌંસમાં આપેલી સ્પષ્ટતા સિવાય): કોઈને સ્વપ્નમાં મૃત્યુ જોવા મળે તો એ તેના
ધર્મમાં ફિસાદ અને ઇહલોકમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત થવાની નિશાની છે. શરત માત્ર એટલી
કે, એમાં રોકકળ અને ચીસાચીસ પણ હોય અને આવું સ્વપ્ન જોનાર વ્યક્તિને લોકો અરથી કે
જનાઝામાં નાખી કાંધ આપીને જતા હોય, માટીમાં દફન કરવામાં આવી ન હોય (કે અગ્નીદાહ પણ
અપાયો ન હોય). અને માટીમાં મુડદાને દાટી દેવામાં આવ્યો હોય (કે સળગાવી દેવાયો હોય)
તો એના ધર્મમાં સુધારને કોઈ અવકાશ નથી, બલકે એના પર શૈતાન અને દુનિયાનો પ્રભાવ
છવાઈ જશે અને તેની ભવ્યતાને માનનારા એટલા જ લોકો હશે જેટલા તેના અંતિમ સંસ્કારમાં
જોવા મળ્યા હશે. આવું સ્વપ્ન જોનારો માણસ લોકોને સંકટમાં મૂકશે અને એમની ગરદનો પર
સવારી કરશે.
જો કોઈએ પોતાની જાતને મૃત જોઈ પરંતુ અંતિમ
સંસ્કારનો સીન જોવા મળ્યો નહિ અને માતમ જેવું વાતાવરણ જેમકે રોવુંધોવું, બરાડા
પાડવા, શબસ્નાન, કફન, જનાઝો કે અરથી કંઈ જોવા ન મળ્યું, તો એની તાબીર એ છે કે,
તેના ઘરમાં કે દીવાલ પરથી કોઈ વસ્તુ પડી જશે અથવા લાકડું ભાંગી જશે. અથવા એવું પણ
કહેવાય છે કે, એના ધર્મમાં કમજોરી અને તેની આંખને અંધાપો આવી શકે છે.
અને કોઈએ સ્વયંને વગર મર્યે કબરમાં (કે સ્મશાનમાં
બાળવાની જગ્યાએ) જોયો તો એ માણસ કાં તો જેલ ભેગો થશે અથવા તો કોઈ પ્રકારની ભીંસમાં
મુકાશે. અને જો કોઈએ એવું જોયું કે, તેણે કબર ખોદી છે (અથવા ચિતા જાતે તૈયાર કરી
છે) તો એનું અર્થઘટન એ થશે કે, એના વિસ્તાર કે શહેરમાં તે એક ઘર બનાવશે. અને કોઈએ સ્વપ્નમાં
મુડદાને પ્રશ્ન કર્યો, તો એ મુડદું જે ઉત્તર આપે એ સાચો પડે. આ વાત કહેવામાં જરાય
અતિશયોક્તિ નથી. એટલે કે, તે એમ બોલ્યું કે, તે મજામાં છે, તો એનો મતલબ એ જ કે, તે
મજામાં છે અને તેનું મૃત્યુ પછીનું જીવન સારું વીતી રહ્યું છે. અને મડદું કોઈ
બીજાની બાબતે પણ કંઈ જણાવે તો એ પણ સત્ય જ રહેશે. કેમકે એ મડદું હાલ સત્યજગતમાં
છે, અને ત્યાં જૂઠ બોલવું શક્ય નથી. તે જૂઠાણામાંથી મુક્તિ મેળવી ચૂક્યું છે. એટલે
તે જે જણાવશે એમાં જૂઠને કોઈ અવકાશ નહિ હોય.
એ જ રીતે કોઈએ મૃત વ્યક્તિને સારી હાલતમાં જોઈ
અથવા એવું જોયું કે, તેણે ધોળાં કે લીલાં (કે કેસરી) કપડાં પહેર્યાં છે અને તે
સ્મિત વેરે છે અથવા કોઈ ગૂડ ન્યૂઝ સંભળાવે છે તો આ બાબત એની સાબિતી છે કે, પરલોકમાં
તે મોજેમોજ કરે છે. અને કોઈએ અવસાન પામેલી વ્યક્તિને મેલીઘેલી, ધૂળિયાવાળ ધરાવતી,
ચીંથરેહાલ જોઈ અથવા એ દુબળી છે અને ગુસ્સાની હાલતમાં છે તો એનો અર્થ એ કે, પરલોકમાં
એની હાલત દયાજનક છે. એ જ રીતે અગર કોઈએ મુડદાને બિમાર જોયું તો એની તાબીર એ છે કે,
તે પોતાના પાપની સજા ભોગવે છે. અને કોઈએ મરી ચૂકેલા માણસને સ્વપ્નમાં બીજીવાર મરતા
જોયો, એમાં એવું પણ જોયું કે રુદન તો છે પણ માતમ કે ચીસાચીસ નથી, તો એનો મતલબ એ કે
તેના ઘરનાના લગ્ન થશે અને તેને આનંદ મળશે. અને જો આ પ્રકારના સ્વપ્નમાં ચીસાચીસ
સાથેની રોકકળ જોવા મળે તો એની તાબીર એ થશે કે, એના સંતાનનું કે એના પરિવારમાંથી
કોઈનું મૃત્યુ થશે.
અને કોઈએ એવું જોયું કે, તેણે કોઈ મૈયતની કબર
ખોદી છે (અથવા કોઈની ચિતા તૈયાર કરી છે) તો એનો અર્થ એ થશે કે, તે એ મૃત વ્યક્તિના
નક્શે કદમ પર ચાલશે, શરત માત્ર એટલી કે, એ મૃત્યુ પામેલી વ્યક્તિ પરિચિત હોય. અને
જો એ અપરિચિત છે તો એનો અર્થ એ થશે કે એવું સ્વપ્ન જોનાર એવી કોઈ બાબતમાં હવાતિયાં
મારશે છે, જેમાં એને સફળતા મળવાની નથી.