Thursday 20 September 2018

ઔકાળવી, રબ્બાની, હાફિઝજી અને ધ્રોલ

એક સમય એવો હતો જ્યારે દરેક સબીલ પર મૌલાના શફી ઔકાળવી અને મૌલાના અબ્દુલ વહીદ રબ્બાનીની તકરીરની કેસેટો વાગતી. (બન્ને પાકિસ્તાની) એ જમાનો ટેપનો હતો. શફી ઔકાળવીનો સ્વર મધુર હતો. બયાનની એમની મૌલિક છટા હતી. અશઆર અને કુર્આનની આયતો તેઓ તરન્નુમમાં પેશ કરતા. આમ તો બીજા વિષયો પર પણ તેમણે બયાન આપ્યા હશે પણ અહીં આપણે ત્યાં તેમની ઓળખ મોહર્રમ માટે ફિક્સ હતી. શફી ઔકાળવીનો અવાજ કાને પડે એટલે દરેક મિયાંભાઈને ખબર પડી જાય કે, મોહર્રમ મહિનો બેસી ગયો. મોહર્રમ સાથે એમની તકરીરની ઇમેજ એટલી હદે જોડાયેલી હતી કે, અન્ય મહિનામાં એમને કોઈ સાંભળતું જ નહીં અને કોઈ કેસેટ વગાડે તોય અજૂગતું લાગતું, કોઈ ન વગાડવાની પણ સલાહ આપે, જાણે કે ઇમામ હુસૈનને તો બસ મોહર્રમમાં જ યાદ કરાય! ઔકાળવી અને રબ્બાનીની શૈલી વચ્ચે હાથી અને ઘોડા જેટલો ફેર હતો. રબ્બાનીની લઢણ થોડે અંશે કડવે પ્રવચન જેવી હતી, જોકે એ લઢણમાં નિરાશાજનક કડવાશ હોવાનું યાદ નથી.
રબ્બાની વચ્ચે વચ્ચે ‘મુલ્તાન કે મેરે હુસૈની નૌજવાનોં...’  જેવો લલકાર કરીને શ્રોતાઓને પાનો ચડાવતા જાય, ‘લોહા થા તો સપીકર બના, મટ્ટી થી તો આદમ બના’ જેવી જોડકણાં ટાઇપ દલીલો વડે ભલાભોળા સાંભળનારાઓને મંત્રમુગ્ધ કરી નાખતા. સ્પીકરને તેઓ સપીકર કહેતા. ઔકાળવી કરબાલનો કિસ્સો એક કથાની જેમ સળંગ રજૂ કરતા, જ્યારે રબ્બાની કરબલાના ખૂની મંઝરની કોઈ એકાદ ક્ષણને લડાવીને પેશ કરતા. (રબ્બાની એક નઝ્મ સંભળાવતા: ‘હરી હૈ શાખ-એ-તમન્ના અભી જલી તો નહીં-’ એની એક જ લાઇન યાદ હતી, એના આધારે સર્ચ કરતાં આખી રચના ગૂગલ પરથી મળી આવી. પણ ઘણી કોશિશ છતાં એના રચયિતાનું નામ મળી ન શક્યું. ખુદને રેખ્તાના ઉસ્તાદ સમજતા અમુક કવિ હજરાતનો પણ રાબ્તો કર્યો. તેમણે પણ લાઇલ્મી ઝાહિર કરી. આવી કડક લાકડા જેવી લાઇનો કોણે લખી હશે?)
કરબલાની વાત આવી છે તો ઔકાળવી અને રબ્બાનીની જેમ ધ્રોલમાં ત્રીજી હસ્તી પણ લોકપ્રિય બની. એમનું નામ હાફિઝ આદમ. હાફિઝજી આમ તો ભરૂચ પંથકના પણ યુવાનીથી તેઓ ધ્રોલમાં છે. મોહર્રમમાં તેમનું વાએઝ હોય એટલે હકડેઠઠ લોકો મેમણચોકમાં ઉમટી પડે. ઇમામ હુસૈનની શહાદત વિશે તેમનું બયાન એટલી હદે કરુણ રહેતું કે, શ્રોતાઓની આંખમાં આંસુ આવી જતા. ભરૂચ પંથકના હોવા છતાં તેમની ઉર્દૂ જુબાનમાં માધુર્ય એટલી હદે કે, કેટલાક હિન્દુ અને વ્હોરા બિરાદરો પણ એમને સાંભળવા આવતા હોવાનું સાંભળ્યું છે. હાફિઝજીનો કંઠ એટલો મધુર કે, એમણે પઢેલી નાત, મન્કબત પણ ઘરેઘરે દુકાનેદુકાને સબીલેસબીલે સંભળાતી. એ સમયની સૌથી મોટી નિરાંત એ હતી કે સ્પીકરમાં બાસ નહોતા. વોલ્યૂમ માપમાં રહેતું. હવે જુદા-જુદા ભાતભાતના અવાજો કાને પડે છે, પડ્યા ભેગા જ ખરી પડે છે.

આજ બસ ઇતના હી.  

લખ્યા તારીખ: કતલની રાત

No comments:

Featured post

રાજકોટની એક વાર્તાશિબિરનો અધૂરો અહેવાલ

(રાજકોટમાં  સાહિત્યિક મંડળ ‘ભારવિ’ દ્વારા  એક વાર્તાશિબિરનું આયોજન થયું હતું . મારી ડાયરીમાં એનો શીર્ષક વિનાનો , અધૂરો , ઉતાવળિયો અને કાચ...