Wednesday 17 August 2022

મારું નામ ઇતિહાસમાંથી જલદી ભૂંસાઈ નહિ જાય

ગુજરાતી સાહિત્યનો આધુનિક યુગ શરૂ થયો ત્યારે કવિતા હજી પાશ્ચાત્ય અસર હેઠળ હતી. એ યુગમાં કવિ કાન્તની પ્રતિભાએ જન્મ લીધો. પહેલીવાર અર્વાચીન ગુજરાતી કવિતાની પ્રૌઢ મુદ્રા તેમનાં કવનમાં દેખાઈ. પૂર્વ-પશ્ચિમ સાહિત્યધારાનો સંગમ ધરાવતી છતાં સંપૂર્ણ આગવી તેમની કાવ્યબાની આજે પણ મન મોહી લે છે. તેમણે આપણી વચ્ચેથી વિદાય લીધી એ વાતને ગઈ ૧૬ જૂનથી ૧૦૦મું વરસ બેઠું. દસ દાયકા પછી પણ એમનાં કાવ્યો સદાબહાર છે.



એક વખત કવિ યોગેશ જોશી કવિ યજ્ઞેશ દવે અને તેમના વિદેશી મિત્ર સાથે ઉમાશંકર જોશીના ઘરે પહોંચ્યા. વાતચીત દરમ્યાન કવિ કાન્તનો ઉલ્લેખ થયો. ઉમાશંકરે કાન્તના કાવ્ય સાગર અને શશિની પંક્તિઓનું પઠન કર્યું:

આજ, મહારાજ! જલ પર ઉદય જોઈને
ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે,
સ્નેહઘન, કુસુમવન વિમલ પરિમલ ગહન,
નિજ ગગન માંહી ઉત્કર્ષ પામે;
પિતા! કાલના સર્વ સંતાપ શામે!

ભારતના પ્રવાસે આવેલા વિદેશી મિત્ર ગુજરાતી ભાષા ન જાણતા હોવા છતાં તરત બોલી ઉઠ્યા, ‘આ કાવ્યમાં સમુદ્ર વિશેની કોઈ વાત છે?’ કાન્તના છંદોલયનો એ ચમત્કાર કે ભાષા ન જાણનાર પણ એનો ભાવ પામી ગયો.

મૂળ નામ મણિશંકર રત્નજી ભટ્ટ કરતાં ઉપનામથી વધુ જાણીતા આ કવિ કાન્ત નવેમ્બર ૨૦, ૧૮૬૭ના રોજ  અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ચાવંડ ગામમાં જન્મ્યા હતા. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ માંગરોળ, મોરબી અને રાજકોટમાં મેળવ્યું. મોરબીમાં શાસ્ત્રી શંકરલાલ માહેશ્વરને ત્યાં કવિતાવિલાસ ચાલતો. તેમાં વ્રજભાષાની ચમત્કૃતિભરી શૈલીમાં કાવ્યરચનાઓ થતી. સંસ્કૃતમાં પણ વૈવિધ્યભર્યા અને શુદ્ધ છંદોવિધાન ધરાવતા કાવ્યો રચાતાં. આ કવિતાવિલાસમાં સહભાગી થવું તેમને ઘણું સાહિત્યસર્જનમાં ઉપયોગી બન્યું.

તેઓ ૧૮૮૮માં મુંબઈમાંથી લૉજિક અને મૉરલ ફિલોસોફીના વિષયો સાથે સ્નાતક થયા. પશ્ચિમ જગતના બુદ્ધિવાદે એમને અજ્ઞેયવાદી બનાવ્યા, નીતિશાસ્ત્રના અભ્યાસે જીવનના ગહનગંભીર પ્રશ્નો એમની સમક્ષ ઊભા કર્યા. ઉત્તમ અધ્યાપકની મદદથી સાહિત્યના વધુ નજીક ગયા. બળવંતરાય ઠાકોર જેવા કવિમિત્રો મળ્યા. અંગ્રેજી, પ્રાચીન ગ્રીક, યુરોપિય સાહિત્યનું રસપાન કરી તૃપ્ત થયા. કવિઓ અને નાટકો જ નહિ, ઇતિહાસકારો, તત્ત્વચિંતકોથી પણ તેઓ પ્રભાવિત થયા. એના લીધે એમની કાવ્યરુચિ અનોખી રીતે ઘડાઈ હતી. અંગ્રેજી કવિતા સમૃદ્ધિથી કાન્ત એટલા અંજાયા હતા કે માથું હલાવે એવી કવિતા સંસ્કૃતમાં ખરી પણ વાંચતાં હૃદયમાં વાઇબ્રેશન થઈ જાય એવી કવિતા તો અંગ્રેજીમાં જ દેખાય એવું તેઓ માનતા.

૧૮૮૯માં થોડો વખત સુરતમાં શિક્ષક તરીકે કામ કર્યા પછી ૧૮૯૦થી ૧૮૯૮ સુધી વડોદરાના કલાભવનમાં સાહિત્યશાસ્ત્રના અધ્યાપક, વાઈસ પ્રિન્સિપાલ અને ટ્રેનિંગ કોલેજના આચાર્ય તરીકે રહ્યા હતા. આ દરમિયાન ૧૮૯૧માં પ્રથમ પત્નીનું અવસાન થયું, એ કારણે તેઓ ભારે આઘાતમાં સરી પડ્યા હતા. એમના હૃદયને જડ બુદ્ધિવાદ અને અજ્ઞેયવાદથી સંતોષ નહોતો અને થિયોસોફીના રહસ્યવાદથી તેઓ આ પહેલાં અત્યંત આકર્ષાયા હતા, પણ હવે તેઓ ઈશ્વરના અસ્તિત્વને માનતા અને ભક્તિની આવશ્યકતાને સ્વીકારતા થઈ ગયા હતા. ૧૮૯૮માં આ કશમકશ વચ્ચે લગ્નસ્નેહની દિવ્યતા પ્રબોધતા તથા સ્વર્ગમાં પણ સ્ત્રીપુરુષના આત્માના મિલનની ખાતરી આપતા સ્વીડનબોર્ગીય ખ્રિસ્તી ધર્મમાં તેઓ જોડાયા હતા. એમણે ભાવનગર ગયા પછી ૧૯૦૦માં ધર્મપરિવર્તનને જાહેર કરતાં જ્ઞાતિના બહિષ્કાર સહિતની યાતના વેઠવી પડી હતી. છેવટે પત્ની અને સંતાનને ખાતર સ્વધર્મમાં પાછા ફર્યા હતા. આ સમયગાળા દરમ્યાન ૧૮૯૮થી ૧૯૨૩ સુધી એમણે ભાવનગર રાજ્યમાં શિક્ષણ અધિકારી તરીકે અને પછીથી દીવાન ઑફિસમાં કામગીરી બજાવી.

ગુજરાતી કવિતાની એક ઘટના તરીકે ઓળખાતા કાન્તમાટે તેમનાં ખંડકાવ્યો તેમની ખાસ ઓળખ બન્યાં. તેમણે સંસ્કૃત ખંડકાવ્ય કરતાં બહુ જુદા પ્રકારનાં ગુજરાતી ખંડકાવ્ય સર્જ્યાં. ભાષાનું બેનમૂન સૌંદર્ય અને શૌભા એમાં જોઈ શકાય છે. વસંતવિજય’, ‘ચક્રવાક મિથુનઅને દેવયાનીઆ ત્રણેય તેમનાં સર્વોત્તમ ખંડકાવ્યો માનવામાં આવે છે.  જોકે ખંડકાવ્યો કરતાં તેમનાં ઊર્મિકાવ્યો પ્રમાણમાં વધારે છે, જેમાં ઉપહાર’, ‘ઉદ્ગાર’, ‘વત્સલનાં નયનોઅને સાગર અને શશીમુખ્ય છે. તેમણે આગવી શૈલીમાં પ્રકૃતિ, પ્રેમ, પ્રભુનિષ્ઠા જેવા સનાતન વિષયો નિરૂપ્યા છે.

કાવ્યો, નાટકો, વિવેચન ઉપરાંત કાન્તના પત્રો પણ મહત્ત્વના ગણાય છે. દર્શના ધોળકિયાએ સંપાદિત કરેલા ગ્રંથમાં એમના ૭૦૦ પત્રોને સમાવ્યા છે. જેમાં કવિના અંગત જીવન, મૈત્રિ સંબંધ અને સાહિત્યવિચાર વિશે વિશેષ માહિતી મળે છે. પોતાની કવિતાઓ વિશે તેઓ મિત્રોના સ્પષ્ટ અભિપ્રાયને આવકારતાં, કોઈ ભૂલ ચીંધી બતાવે તો રાજી થતાં.

એક પત્રમાં તેઓ લખે છે કે મ્હને ધાસ્તી રહે છે કે હું થોડાં વર્ષમાં કવિ મટી જવાનો...જ્યારે રમાનામના કાવ્યની બળવંતરાયે ટીકા કરી ત્યારે એને સ્વસ્થતાથી ઝીલી અને અન્ય મિત્રને પત્રમાં લખ્યું, ‘…મને મારા હૃદય પર આસ્થા છે અને હું અવશ્ય માનું છું કે મારું નામ ગુજરાતી સાક્ષરમંડળના ઇતિહાસમાંથી જલદી ભૂંસાઈ નહીં જાય.

આ પ્રકારે પોતાના સર્જન પ્રત્યે શ્રદ્ધાવાન કવિ કાન્ત ૧૯૨૩માં કાશ્મીરના પ્રવાસે ગયા, ત્યાંથી પાછા ફરતા રાવળપિંડીથી લાહોર આવતી મેલ ટ્રેનમાં તેમને અંતિમ શ્વાસ લીધા હતા. બરાબર એ જ દિવસે તેમનો એકમાત્ર કાવ્યસંગ્રહ પૂર્વાલાપપ્રગટ થયો હતો.



Featured post

રાજકોટની એક વાર્તાશિબિરનો અધૂરો અહેવાલ

(રાજકોટમાં  સાહિત્યિક મંડળ ‘ભારવિ’ દ્વારા  એક વાર્તાશિબિરનું આયોજન થયું હતું . મારી ડાયરીમાં એનો શીર્ષક વિનાનો , અધૂરો , ઉતાવળિયો અને કાચ...