Monday 4 March 2024

રાજકોટની એક વાર્તાશિબિરનો અધૂરો અહેવાલ

(રાજકોટમાં સાહિત્યિક મંડળ ‘ભારવિ’ દ્વારા એક વાર્તાશિબિરનું આયોજન થયું હતું. મારી ડાયરીમાં એનો શીર્ષક વિનાનો, અધૂરો, ઉતાવળિયો અને કાચો અહેવાલ લખ્યો હતો, એ જેવો છે એવો, અહીં રજૂ કરું છું.)

ઇમરાન દલ (રાજકોટથી)

મિત્ર મહેન્દ્રભાઈ દક્ષિણી અને હું તા. 17 એપ્રિલની સવારે સાડા દસ વાગ્યાની આસપાસ યુનિવર્સિટીએ જવા નીકળ્યા ત્યારે મનમાં એમ હતું કે અમે મોડા પહોંચીશું, પણ ગુજરાતી ભવને પહોંચ્યા ત્યારે હાશકારો થયો. પોણા અગિયાર થયા હતા, હજી શિબિર શરૂ થવાને વાર હતી. શિબિર સ્થળે ગરમાગરમ, હાથમાં પકડી પણ ન શકાય એવી પ્યાલી સાથે અમારું સ્વાગત થયું. રજિસ્ટરમાં નામ અને મોબાઈલ નંબરની નોંધ કરી, હાજરી પુરાવી, ઓડિયન્સમાં અમે અમારું સ્થાન લીધું. થોડી વાતચીત કરી.  શિબિરાર્થીઓ પણ ધીમે ધીમે આવી રહ્યા હતા, થોડી જ વારમાં રાજુ પટેલ આવી પહોંચ્યા: અબ આયેગા, મજા

શિબિર દરમ્યાન રાજુ પટેલ. તસવીર: ઇમરાન દલ


રાજુના આગમન પહેલાં સૌએ પોતાનો ટૂંકો પરિચય આપી દીધો હતો, (એટલો ટૂંકો કે અમુકે તો માત્ર ઊભા થઈને પોતાનું નામ જ કહ્યું!) એટલે ઇન્ટ્રોડક્શનની કોઈ ઔપચારિક વિધિ વિના રાજુ પટેલે વાતચીતનો દોર શરૂ કર્યો. વાર્તા એટલે શું? તમે શા માટે વાર્તા લખવા માગો છો? વાર્તા કોને કહેવાય? વગેરે જેવા પ્રાથમિક પ્રશ્નો ઉકેલવાનો પ્રયાસ કરવા પ્રતિપ્રશ્નો કરતાં કરતાં શિબિરાર્થીઓ પાસેથી ઉત્તરો-પ્રત્યુત્તરો પ્રતિભાવો મેળવ્યા.

વાર્તામાં સત્ય ઘટના કઈ રીતે સ્થાન મેળવી શકે? અથવા સત્ય ઘટનાઓ ઉપરથી વાર્તા કઈ રીતે વાર્તા બની શકે? એની ઉદાહરણ સાથે તેમણે ચર્ચા કરી: મુંબઈની ચિકાર ભીડ ધરાવતી બજારમાંથી હું પસાર થયો ત્યારે એક સ્ત્રી પ્રેમપૂર્વક એક પુરુષને પોતાના ડબ્બામાંથી ચમચી વડે કોઈ વાનગી ખવડાવતી હતી. જ્યાં લોકો એકબીજાને હાય, હલ્લો કરવાનું પણ પસંદ ન કરે, સામે પણ ન જુએ, એવા સ્થળે જોવા મળેલું આ દૃશ્ય મારા હૃદયને સ્પર્શી ગયું. જીવનમાં જોવા કે અનુભવવા મળતી આવી ઘટનાઓ જે આપણી સંવેદનાને સ્પર્શી જાય એ વાર્તા-સર્જન માટે ઉપયોગી બને છે. અગત્યનું એ છે કે તમને શું ગમે છે, જે લખવા માટે પ્રેરે: તમે પચાસ વાર્તા વાંચી, એમાંથી કઈ વાર્તામાંથી તમને શું ગમ્યું. એ ગમ્યું તો શા માટે ગમ્યું? એનો ઉત્તર મેળવવાથી વાર્તા લખવાની દિશા મેળવી શકાય. લોકોને શું ગમશે એ નહિ, તમને શું ગમે છે, શું સ્પર્શે છે? એ નક્કી કરશે કે તમારે શું લખવું? લોકોને શું ગમે છે એ વિચારીને લખશો તો તમે વેપારી બની જશો.

વિવિધ દૃષ્ટાંતો અને ઉદાહરણો અને કલ્પનાઓ અને કાલ્પનિક હકીકતો અને વાસ્તવિક કલ્પનાઓને વણીને વાર્તાચર્ચા અંગે રાજુનું વક્તવ્ય ચાલતું હતું, વચ્ચે વચ્ચે પ્રશ્નોત્તરી પણ થતી રહી. શ્રોતાઓની અપેક્ષા શી છે, એ અંગે બહુ પ્રશ્નો કોઈએ ન ઉઠાવ્યા એટલે થોડી અકળામણ જેવું લાગ્યું. એ દરમ્યાન જયેશ રાષ્ટ્રકૂટે એક લાંબો પ્રશ્ન કર્યો કે અહીં બેઠા છે એમને વાર્તાનું સ્વરૂપ, પાત્રલેખન, પરિવેશ, સંવાદ, કથાવસ્તુ સહિતનાં પાસાંઓ, વાર્તાનો ઇતિહાસ, ભારતીય વાર્તા, ગુજરાતી વાર્તા, વિદેશી વાર્તાઓની વિશિષ્ટતાઓ વગેરે બધું જ જાણવું છે... તો ભગવાનભાઈ થાવરાણીએ પૂર્વે સવાલ ઉઠાવ્યો હતો કે ઘટના વિનાની પણ વાર્તાઓ હોય છે, એની પણ ચર્ચા થવી જોઈએ. જયેશના પ્રશ્નનો રાજુએ એ રીતે ઉત્તર આપ્યો કે, જે માહિતી ઇન્ટરનેટ, ગૂગલ ઉપર ઉપલબ્ધ છે, એની અહીં ચર્ચા નહીં કરીએ, જ્યારે ભગવાનભાઈના પ્રશ્નનો ઉત્તર આપતાં તેમણે કહ્યું કે, આ ઉત્તર નથી છતાં આપી રહ્યો છું કે, વાર્તા લખવી એ પોતે જ એ ઘટના છે.---

વક્તવ્યના આરંભમાં જ રાજુએ કહેલું કે મારા ઉપરાંત બે વ્યક્તિ આવશે. મુંબઈથી અન્ય એક વ્યક્તિ વિશેષ પણ અહીં આવશે, (જેમનું નામ તેમણે જાહેર નહોતું કર્યું) બીજાં તે ‘વારેવા’ વાર્તા સામયિકનાં સંપાદક છાયા ઉપાધ્યાય. કાર્યક્રમ શરૂ થયાના થોડા સમયમાં જ લેખક, વાર્તાકાર, નવલકથાકાર નીલેશભાઈ રૂપાપરાનું આગમન થયું. તેમને આગ્રહ કરવામાં આવ્યો પણ તેમણે સ્ટેજને બદલે શ્રોતાઓની વચ્ચે જ બેસવાનું પસંદ કર્યું. થોડી મિનિટો બાદ છાયા ઉપાધ્યાય પણ આવી પહોંચ્યાં. છેક આણંદથી ટ્રેનમાં લાંબી મુસાફરી કરીને હજી હમણાં જ રાજકોટ પહોંચ્યાં હોવા છતાં તેમના ચહેરા ઉપરની તાજગી તેમના સ્મિતમાં જોવા મળી.

વાતચીતના દોર વચ્ચે શ્રોતાઓમાં કેટલીક મૂંઝવણો જણાતા અથવા તો રાજુ પટેલ શું અને શા માટે કંઈક કહે છે? પૂછે છે? એ અંગે કશીક દ્વિધા જણાતા વચ્ચે પ્રો. સનત ત્રિવેદીએ ઊભા થઈને કહેવું પડ્યું કે આપણે એમને (રાજુને) સમજવાનો, એમના પ્રયાસને સમજવાનો પ્રયાસ કરીએ, એઓ આપણને જે સમજાવવાની કોશિશ કરે છે એને સમજીએ... અને ફરી વાતચીતનો દોર આગળ વધ્યો અને ફરી આગળ જતાં ત્રિવેદી સાહેબે રાજુ વતી બે શબ્દો કહી એમને સમજવા-કોઓપરેટ કરવા શિબિરાર્થીઓને સમજાવ્યું, ત્યારે નીલેશભાઈ રૂપાપરાએ કહ્યું, ‘રાજુને અહીં બેઠેલા લોકો સમજી નથી શકતા એવું ન સમજી લઈએ, તેઓ એમને સમજી શકશે, એ એમના ઉપર છોડીએ... સમજવા દઈએ...’ અને ફરી વાતચીત આગળ ચાલી અને ત્યાં લંચ બ્રેક પડ્યો.

શિબિરમાં બ્રેક દરમ્યાન નિરાંતની પળે નીલેશ રૂપાપરા (ડાબે) અને રાજુ પટેલ. તસવીર: ઇમરાન દલ

(અહેવાલમાં અહીંથી આગળ અડધું બોક્સ બનાવીને સાડા ત્રણ લીટીઓ લખેલી વંચાય છે. એટલું લખાણ નીચે બે ફૂદરડીઓ વચ્ચે મૂક્યું છે.)

*પરિચયનો વિધિ ટાળવા પાછળનો ઉદ્દેશ સ્પષ્ટ કરતાં રાજુએ કહ્યું કે તમે ચોર હો, ડાકુ હો, લૂટારા હો, ખૂની હો, કે ખીસ્સાકાતરુ એથી કશો ફરક પડતો નથી....*)

૦ લંચ બ્રેક પહેલાં એક સિચ્યુએશન આપી, વાર્તા લખવાનો ટાસ્ક આપ્યો, પણ લંચ પત્યા પછી કોઈ પાસેથી એ વાર્તા માંગવામાં આવી નહિ.

૦ ચર્ચા દરમ્યાન રાજુએ કહ્યું, ‘તમે કોઈ એક વ્યક્તિને નફરત કરો, એનું કારણ જણાવો અને પછી એ વ્યક્તિને જસ્ટીફાય કરો.’ આ કસરત પાછળ કારણ એ હતું કે તમે વ્યક્તિ તરીકે કોઈને ભલે નફરત કરો પણ સર્જક તરીકે કોઈને નફરત કરી શકતા નથી.

૦ લગભગ ૪:૧૫ વાગ્યા દરમ્યાન આયોજકોએ છાશ મંગાવી અને સૌએ આકંઠ અમુલની છાશ પીધી.

વીસેક મિનિટ નિલેશ રૂપાપરા બોલ્યા, મને બોલતા ફાવતું નથી, સ્ટેજ ફિયર છે -એમ કહ્યું, પણ છતાં સરસ બોલ્યા. સર્જન-પ્રક્રિયા અંગે શ્રોતાઓને મૂંઝવતા પ્રશ્નોના ઉત્તર પણ આપ્યા. બાદમાં એમની વાર્તા............નું પઠન શ્રદ્ધા ભટ્ટે કર્યું અને એ વાર્તા વિશે થોડી ચર્ચા પણ થઈ.

૦ છાયા ઉપાધ્યાયે વારેવા સામયિક વિશે માહિતી આપી અને ઉદ્દેશ સમજાવી, લવાજમ ભરવા હાકલ કરી.

(આ કથિત અહેવાલ, ડાયરીમાં જ્યાંથી શરૂ થાય છે એના આગળના પાને, મથાળે ચોકઠું ચીતરીને એમાં ‘ફરીથી રિરાઇટ’ એવું લખેલું છે. બાજુમાં RAJU લખેલું છે અને એની નીચે તારીખ આ મુજબ લખેલી છે: 17/05/2022. પહેલી લીટીમાં નીલેશ રૂપાપરાનું નામ લખેલું વંચાય છે અને એની નીચે, નીચે મુજબનાં વાક્યો, સ્ટાર સાથે લખેલાં છે, એ કદાચ નીલેશભાઈએ કહ્યાં હોય એવું હું માનું છું.)

*પાત્રની નાનામાં નાની ડિટેઈલ ખબર હોવી જોઈએ.

*વાર્તા એ ભાષાનો અભિનય છે.

*તમારે એવા પ્રયાસ કરવાના છે કે તમે પ્રયાસ કરો છો એ ન સમજાય

*વાર્તા તમને કોઈ શીખવી ન શકે, અલબત્ત તમે પોતે ધારો તો શીખી શકો છો!

(ઉપરની ચાર લીટીઓ જે પાના પર છે એનાથી આગળના પાના પર ‘વાર્તા’ શબ્દના મથાળા સાથે નીચે મુજબ કોઈ વાર્તાના પ્રારંભ જેવું લખાણ વંચાય છે, જે શિબિરમાં આપવામાં આવેલી કોઈ સિચ્યુએશન પ્રમાણે લખ્યું હોવાનો સંભવ છે.)

જયુ જ્યારે હોલની બહાર નીકળ્યો ત્યારે મોટા ભાગના શ્રોતાઓને કશો ફરક ન પડ્યો પણ વક્તા વીરુના ચહેરાની રેખાઓ સહેજ બદલાઈ ગઈ. પ્રવચન હજી પા ભાગનું પણ પૂરું નહોતું થયું ત્યાં તેનું આમ ચાલ્યા જવું વીરુને ખટક્યું. તેનો વાક્પ્રવાહ પણ થોડો ખોરવાયો. પીઠ પાછળ ફેલાયેલા કાબરચીતરા વાળને તેણે પાછળ ઝાટક્યા અને પછી વાળનો ડૂચો વાળીને માથા ઉપર અંબોડી બાંધી લીધી. ચા પીવાની તેને તલપ લાગી હતી, પણ તે બોલવા ગયો, તો તેનાથી પાણી મંગાઈ ગયું. આજે પાણીનો સ્વાદ એને બોદો લાગ્યો.

(અધૂરો અહેવાલ અહીં સમાપ્ત થાય છે. શિબિરની તારીખ અંગે આ લખનારને શંકા છે. વલ્લાહો આલમ.)

Featured post

રાજકોટની એક વાર્તાશિબિરનો અધૂરો અહેવાલ

(રાજકોટમાં  સાહિત્યિક મંડળ ‘ભારવિ’ દ્વારા  એક વાર્તાશિબિરનું આયોજન થયું હતું . મારી ડાયરીમાં એનો શીર્ષક વિનાનો , અધૂરો , ઉતાવળિયો અને કાચ...