Thursday 10 October 2019

અકબર પદમસી : એકલતાના ઓછાયાનો ચિત્રકાર


અકબરનું પ્રોફેટ નામનું તૈલચિત્ર 
    અકબર પદમસી મુંબઈ ખાતે એપ્રિલ ૧૯૨૮માં જન્‍મ્‍યા હતા. પદમસી મૂળ સૌરાષ્‍ટ્રના મૌવા ગામના વતની, તેઓ ચારણિયા જ્ઞાતિ સાથે સંબંધ ધરાવે છે. તેમના પૂર્વજો ધર્માંતર કરીને આગા ખાનના અનુયાયી તરીકે ખોજા સંપ્રદાયમાં દાખલ થયેલા. અકબરના દાદા જાગીરદાર અને ગામના મુખિયા હતા. એ જમાનામાં તેઓ તત્‍કાલીન આગા ખાનને ગામડાની મુલાકાતે લાવ્યા હતા, એ વાતનું તેઓ ગર્વ લેતા. તેમના દાવા મુજબ આ મુલાકાતે ગામડાની કાયપલટ કરી નાખી. ભૂખમરો દૂર થયો. ગામડું અને તેમનું કુટુંબ સમૃદ્ધ બન્‍યાં.
    
    
અકબર પદમસી
પ્રથમ વિશ્વયુદ્ધથી થોડા સમય પહેલાં મુંબઈના એક વેપારી મૌવા ગામે આવ્‍યા. તેમણે અકબરના પિતા હસન અલીને ફાનસના ફોટા તથા કાચના વાસણના ધંધામાં જોડાવવા માટે મનાવી લીધા. નાના પાયે ધંધો શરૂ કર્યો અને કામ કામને શીખવે એ ઉક્તિ મુજબ તેઓ વધુ ને વધુ ચતુર બનતા ગયા અને સમય જતાં એક કુશળ વેપારી તરીકે કાઠું કાઢ્યું. શરૂઆતના વર્ષો દારુણ ગરીબીમાં પસાર કર્યા બાદ તેમણે મહાનગરમાં પગ જમાવ્‍યા દીધા. જાતે શિક્ષણ મેળવ્‍યું, અંગ્રેજી શીખ્યા અને જર્મનીનો પ્રવાસ કર્યો. મહત્ત્વકાંક્ષી હોવાની સાથે તેઓ બુદ્ધિશાળી પણ હતા, તેમણે નફાનો સોદો કર્યો. જમીન-મકાનમાં રોકાણ કર્યું. પછીના વર્ષોમાં મુંબઈભરમાં તેમની મિલકતમાંથી આવતાં ભાડાં જ તેમની આવકનું સાધન બનવાનાં હતાં. તેમના સંતાનો પણ વારસામાં મળેલી આ આવક પર નભવાનાં હતાં.
    અકબરનો જન્‍મ થયો એ અરસામાં તુરંત તેનું કુટુંબ વિશાળ સંયુક્ત કબીલા અને મુંબઈના પરાં વિસ્‍તારમાં મઝગાંવમાં આવેલા એ ખોજા પરિવેશમાંથી છૂટું પડ્યું. અકબરના માતા-પિતા અને તેના છ મોટા ભાઈઓ તથા બહેનો હવે મલબાર હિલના ઉચ્‍ચ–વર્ગના વિસ્‍તારમાં રહેવા લાગ્‍યા. તેમનું ઘર પૂરતું સુખ-સગવડભર્યું હોવા છતાં સંપૂર્ણ સાદગી ધરાવતું હતું. કરકસરની આદતો કોઇને હાનિ ન પહોંચાડે એ વાતનો પિતા આગ્રહ રાખતા. મોજમજા માટે કોઈ અવકાશ નહોતો, અલબત્ત પ્રસંગોપાત લોનાવાલામાં આવેલા તેમના સમર હાઉસે જવાના બહાને શહેરમાં ફરવા માટે માતા અને બાળકોને છૂટ મળતી. ટ્રેનના થર્ડ ક્લાસમાં તેઓ મુસાફરી કરતા, જ્યારે કુટુંબમાં કમાનારા પોતે એકલા હોવાના નાતે પિતાજી ફર્સ્‍ટ ક્લાસને સ્‍વયંનો અધિકાર સમજતા ! આ સિવાય તેઓ પોતાને માટે કોઈ એવા વિકલ્‍પ રાખતા નહીં, વળી તેમનું એવું કોઇ સામાજિક જીવન પણ નહોતું કે ભપકો પાડાવાની કોઇ સ્‍ટાઇલ પણ નહોતી.
    
    તેઓ થોડે અંશે માણસજાતિ પ્રત્‍યે નફરત ધરાવતા હતા એટલે પરિવારે કોઇ જાતના સંપર્કો ન રાખવા એવો તેમનો હઠાગ્રહ હતો. નિશાળેથી આવ્‍યા બાદ બાળકોને ક્યાંય જવાની મનાઈ હતી, કોઈને મળવાનું પણ નહીં, કઝીનોને પણ નહીં મળવાનું, રખે ને તેઓ કોઇ કુટેવના રવાડે ચડે કે મગજમાં કોઈ ખોટા વિચારો ઠસાઈ જાય. જોકે, પુત્રોને બહાર જવાની છૂટ મળતી, એ પણ કેવળ પિતાની ઓફિસે માત્ર અઠવાડિયામાં એકવાર, જ્યાં તેમને રમત-ગમતની પરવાનગી મળતી. એની પાછળ પિતાનો હેતુ એ રહેતો કે, સંતાનો વ્‍યાપારને આત્‍મસાત કરી લે. મોટા ભાગે તેઓ ખોટા ન ઠર્યા. અકબર સહિત એના તમામ ભાઈઓએ વેપારી કુનેહ હસ્‍તગત કરી. પિતાએ પણ તેમને એ સમયની પ્રતિષ્‍ઠિત સેન્‍ટ ઝેવિયર્સ હાઈસ્‍કૂલમાં ઉત્તમ શિક્ષણ અપાવ્‍યું અને બોમ્‍બે યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ સુધી અભ્‍યાસ પણ કરાવ્‍યો.

(સંદર્ભ ‘કન્‍ટેમ્‍પરરી ઇન્‍ડિયન આર્ટિસ્‍ટ’, લેખકઃ ગીતા કપૂર)


Featured post

રાજકોટની એક વાર્તાશિબિરનો અધૂરો અહેવાલ

(રાજકોટમાં  સાહિત્યિક મંડળ ‘ભારવિ’ દ્વારા  એક વાર્તાશિબિરનું આયોજન થયું હતું . મારી ડાયરીમાં એનો શીર્ષક વિનાનો , અધૂરો , ઉતાવળિયો અને કાચ...