Monday 2 January 2023

સજા-એ-મોતથી બચવા જેણે ચાલાકીપૂર્વક જેલવાસ લંબાવ્યો

નિર્મમ ખૂની ચાર્લ્સ શોભરાજ
કેટલાક લોકો સંજોગોને કારણે ગુનાખોરીના રસ્તે પડે છે તો કોઈ અપરાધને પોતાનો ધર્મ બનાવી લે છે. આવા અપરાધીઓ પોતાની ગેંગમાં જે જોડાય તેને શિષ્ય બનાવી, ખુદને ગુરુપદે સ્થાપી દે છે. ચાર્લ્સ શોભરાજની કહાની આવી જ છે. તે ગુનાને ગુનો માનીને ચાલ્યો જ નથી. તેણે અનેક સ્થળે કહ્યું છે કે "હું એવું કંઈ નથી કરતો, લોકો સાથે વાત કરું અને તેઓ મારી જાળમાં ફસાઈ જાય છે અને બાકી બધું પ્રેમથી પતી જાય છે."

ચાર્લ્સ શોભરાજ વિશ્વનો એકમાત્ર એવો ચોર, ઠગ અને ખૂની છે જેને એક ફિલ્મી સિતારા જેવી લોકપ્રિયતા મળી. જિંદગીના મોજશોખ પૂરા કરવા માટે બેસુમાર દોલત મેળવવા માટે પોતાની બુદ્ધિશક્તિ, આત્મવિશ્વાસ, ઉત્સાહ અને ચુંબકીય વ્યક્તિત્વ વડે સામેવાળા માણસને સંમોહિત કરી તે પોતાનું ધાર્યું કામ પાર પાડતો; એવું કરતી વખતે તે હત્યા કરતા પણ ખચકાતો નહિ. 

હમણાં જ નેપાળના બેવડી હત્યાના ગુનામાં તેને થયેલી ૨૦ વર્ષની સજા પૂરી થવાને એક વર્ષ બાકી હતું ત્યાં જ તે કાઠમંડુની જેલમાંથી આઝાદ થયો. જેલમાંથી છૂટ્યા બાદ તેને તેના દેશ ફ્રાન્સમાં મોકલી આપવામાં આવ્યો. નેપાળની જેલમાંથી મુક્ત થતા જ જગતભરમાં ફરીવાર તેના ગુનાહિત ઇતિહાસને યાદ કરવામાં આવી રહ્યો છે. એક નિર્મમ ખૂની હોવા છતાં તેના વ્યક્તિત્વ અને જીવનના એવાં કેટલાંક પાસાં છે જેના કારણે તે આજે પણ લોકોમાં કુતૂહલ જન્માવે છે.

ભારતને આઝાદ થવાની હજી ત્રણ વર્ષની વાર હતી એવા સમયે શોભરાજ ભવનાણી નામનો એક ભારતીય વેપારી વિયેતનામ પહોંચ્યો. આ વેપારી અને વિયેતનામમાં દુકાન ચલાવતી એક મહિલા વચ્ચે પ્રેમ પાંગર્યો. બન્ને લગ્ન કર્યા વિના પતિપત્નીની જેમ રહેવા લાગ્યા. તેમને ત્યાં ૧૯૪૪ની ૬ઠ્ઠી એપ્રિલે એક દીકરાનો જન્મ થાય છે. આ દીકરો એટલે ચાર્લ્સ. દંપતી વચ્ચે અવારનવાર ઝઘડા થતાં સંબંધ વણસ્યો. એક દિવસ શોભરાજ ભવનાણી પત્ની અને પુત્ર ચાર્લ્સને છોડીને ભારત જતો રહ્યો. 

ચાર્લ્સ સાવ નાનો હતો. તેની માતા ફ્રેન્ચ આર્મીમેન લેફ્ટનન્ટ જે વિયેતનામની બોર્ડર પર ફરજ પર હતો, એના પરિચયમાં આવી. બન્ને વચ્ચે પ્રેમ થયો અને પછી બંનેએ લગ્ન કર્યા. તેની સાથે માતાપુત્ર ફ્રાંસના પેરિસમાં આવ્યા. આ રીતે ચાર્લ્સ શોભરાજ ફ્રાન્સનો નાગરિક બન્યો. પેરિસના વસવાટ દરમિયાન ચાર્લ્સની માતાને આર્મીમેન થકી પુત્રનો જન્મ થાય છે. આ રીતે ચાર્લ્સને સાવકો ભાઈ મળ્યો. બાળપણથી જ તેને એવું લાગતું કે પહેલાં સગા પિતાએ દગો દીધો, પછી સાવકો પિતા ધ્યાન નથી રાખતો અને હવે સાવકા ભાઈનો જન્મ થતાં સાવકા પિતાએ અંતર બનાવી લીધું. હું સાવકો છું એવા વિચારોને લીધે તે હંમેશાં પોતાના ઘર પરિવારથી કપાયેલો રહેવા લાગ્યો. આ અલગાવ તેને ગુનાખોરી તરફ દોરી ગયો.

પહેલો ગુનો અને પહેલી જેલ

ચાર્લ્સ શોભરાજે પહેલો ગુનો પેરિસની પાસે આચાર્યો ત્યારે તેની ઉંમર ૧૯ વર્ષની આસપાસ હતી. તેણે કાર ચોરી હતી જે ગુનામાં તેને આઠ માસની જેલ થઈ. જેલમાં કેટલાક લોકો સુધારણા માટે આવતા. આવા એક આદમી સાથે તેને સંપર્ક થયો. તે અત્યંત ધનાઢ્ય હતો. ચાર્લ્સ તેનાથી ઘણો પ્રભાવિત થયો. જેલમાંથી છૂટ્યો એટલે તેને મળવા ગયો. જોકે એ માણસ તો ગુનેગારો સાથે ગાઢ સંબંધ ધરાવતો હતો તેના મારફતે ધીમે ધીમે ચાર્લ્સ પેરિસના ગુનેગારો, માફિયા, ડ્રગ્સ પેડલર વગેરેના સંપર્કમાં આવ્યો. ગુનાખોરીના રસ્તે વળેલો ચાર્લ્સ ફરી એકવાર પકડાયો. પ્રથમવાર પકડાયો ત્યારે જેલની તેને બીક લાગી હતી પણ કાચી વયે તેણે જેલ જોઈ લીધી હોવાથી પહેલા જેવી બીક રહી નહોતી. કારચોરી, ડ્રગ્સની હેરાફેરી આ બધી કરતુતો વચ્ચે તેને પારસી યુવતી સાથે પ્રેમ થયો. 

ક્રમશઃ વધતી ગુનેગારી વચ્ચે તે ફ્રેન્ચ પોલીસની નજરમાં આવ્યો એટલે પકડાઈ જવાની બીકે તેણે ફ્રાન્સ છોડી દીધું. તેની પાસે બેહિસાબ નાણું હતું. જેલમાં જે માણસ સુધારણા માટે આવતો તેણે તેને ભાગવામાં મદદ કરી. તેની પાસેથી એક કાર મેળવી બધા પૈસા તેમાં ભરીને ચાર્લ્સ બોર્ડર પાર કરીને પાડોશી દેશમાં ગયો અને ત્યાંથી ફરતો ફરતો ૧૯૬૯માં પહેલીવાર તે ભારત પહોંચ્યો. અહીં તે મુંબઈ સ્થાયી થયો. તેની ગર્ભવતી પત્નીએ પુત્રીને જન્મ આપ્યો. 

ચાર્લ્સ મુંબઈમાં પણ કારચોરીના ધંધામાં લાગી ગયો. ધીમે ધીમે તેણે સંપર્કો એટલા વધાર્યા કે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનના સરહદી વિસ્તારોમાંથી કારની ચોરી કરતો અને એને સીમા પાર કરાવતો સાથે નશીલા પદાર્થનો પણ કારોબાર ચલાવતો. કહેવાય છે કે તે હથિયારની હેરાફેરી પણ કરવા માંડ્યો હતો. તેના કામ કરવાની પદ્ધતિ સાવ સરળ અને સાદી હતી. તે જ્યાં જેની જરૂર પડતી તેમની સાથે ઘણા પ્રેમથી વાત કરતો અને પૈસાથી વ્યવહાર કરતો એટલે તેનું કામ ખૂબ આસાનીથી થઈ જતું.

ચતુરાઈ તેને નૈસર્ગિક રીતે મળેલી હતી. આત્મવિશ્વાસુ હતો. ભાષાઓ શીખવાનો તેને જબરો શોખ હતો. અંગ્રેજી, ફ્રેંચ, હિન્દી ઉપર પકડ હતી. જે તે દેશના કાયદાઓ પણ તે સારી રીતે જાણતો લોકોની માનસિકતા પારખીને પોતાના ફાયદા સારું કઈ રીતે તેનો ઉપયોગ કરવો એની કુનેહ તેનામાં જબરદસ્ત હતી.

૧૯૭૩માં કારચોરીના મામલે તે મુંબઈ પોલીસના ધ્યાનમાં આવ્યો. એક વખત હાથમાં પણ આવ્યો પણ પછી મુંબઈ પોલીસે તેને છોડી દીધો. બાદમાં તે દિલ્હી પહોંચ્યો. ફાઇવ સ્ટાર હોટલ અશોકાના ઉપરના માળે એક જ્વેલરી શોપ હતી. તેને પૈસાની જરૂર હતી એટલે તેણે આ શોપમાં ખાતર પાડવાનું નક્કી કર્યું. તે હોટલમાં રોકાયો અને રાત્રિના સમયે જ્વેલરી શોપમાં ખાબકીને કીમતી ઘરેણા અને નાણાનો સફાયો કર્યો. બાદમાં તેની પત્ની સાથે ત્યાંથી નીકળી મુંબઈ જવા માટે દિલ્હી એરપોર્ટ પહોંચ્યો. એરપોર્ટ પર કસ્ટમ્સ અને સુરક્ષા કર્મીઓને તેના બેગ ઉપર શંકા ગઈ. ખોલીને જોયું તો એમાંથી આભૂષણો મળ્યા. શંકા પ્રબળ બની. ચાર્લ્સને થયું કે પોતે પકડાઈ જશે એટલે ત્યાંથી સરકી ગયો પરંતુ પોલીસે તેને પકડી લીધો. પહેલીવાર તિહાડ જેલમાં ગયો. ત્યાં પોતાની મોડસ ઓપરેન્ડી મુજબ તેણે બીમારીનું બહાનું બનાવ્યું અને હોસ્પિટલમાં દાખલ થયો જ્યાં પોલીસને ચકમો આપીને તે ફરાર થઈ ગયો. દિલ્હીમાં જ રહેલી પત્નીને સાથે લઈને તે કાબુલ પહોંચ્યો.

કાબુલ ગયા બાદ પણ ગુનાખોરી આચરી. પોતાની ફ્રેન્ચ રાષ્ટ્રીયતા અને ભાષાને કારણે હિપ્પી, સહેલાણીઓ, ડ્રગ્સમાં રસ ધરાવતા પ્રવાસીઓ સાથે સરળતાથી ભળી જતો. તેમને નશાપ્રેરક દવા કે ઝેર પીવડાવીને લૂંટી લેતો. તેમના પાસપોર્ટ પણ તફડાવી લેતો. કાબુલ પોલીસે તેને પકડ્યો પણ કોઈ રીતે ત્યાંથી પણ તે છટકી ગયો હતો. 

બિકીની કિલર તરીકે કેમ ઓળખાયો?

કાબુલથી તે બેંગકોક, થાઈલેન્ડ, પટાયા બીચ પર ગયો ત્યાં બે ત્રણ છોકરા અને એક છોકરી સાથે મળીને તેણે ગેંગ બનાવી. પ્રવાસીઓને છેતરીને લૂંટવાનું શરૂ કર્યું. અહીં પહેલીવાર તે સમાચારની દુનિયામાં ચમકવાનો હતો. ૧૯૭૪-૭૫માં જ્યારે તેણે થાઈલેન્ડમાં વિદેશી પ્રવાસીઓને એક પછી એક નિશાન બનાવ્યા એ સાથે જ વૈશ્વિક ગુનાખોરીમાં તેનું નામ ચમકી ગયું. ડ્રગ્સ દઈને કે ગળું દબાવીને અથવા સળગાવીને સેલાણીને મોતને ઘાટ ઉતારવા એ એને મન રમત વાત બની ગઈ. ૧૯૭૫ દરમિયાન પટાયા સાગર કિનારે ઘણી બધી યુવતીઓ અને કેટલાક યુવાનોના શબ મળ્યા હતા. 

દરેક કુખ્યાત ગુનેગારની જેમ ચાર્લ્સ શોભરાજ પણ કેસા નવા, માફિયા, જાલસાઝ, ચોર, ઠગ, લુટારો, ખૂની, હત્યારો સાંપ જેવા નામે પણ ઓળખાતો. અખબારીની દુનિયામાં એનું એવું જ એક નામ વધુ જાણીતું બન્યું એ હતું ‘બિકીની કિલર’. 

વાત જાણે એમ હતી કે ૧૯૭૫ આસપાસ સૌપ્રથમ એક યુવતીની લાશ એક તળાવમાંથી મળી. તેણે બિકીની પહેરી હતી. તેનું ગળું દાબીને હત્યા કરવામાં આવી હતી. એ કેસ હજી વણઉકેલ હતો ત્યાં અન્ય એક તળાવમાંથી બીજી યુવતીનો મૃતદેહ મળ્યો. તેણે પણ બિકીની પહેરી હતી. શરૂઆતની તપાસમાં હત્યારો કોણ એ વિશે કંઈ ખબર ન પડી એટલે સમાચારની દુનિયામાં અજાણ્યો ખૂની બિકીની કિલર તરીકે જાણીતો બન્યો. બાદમાં ચાર્લ્સ શોભરાજની સંડોવણી બહાર આવી એટલે આ લેબલ તેને પણ લાગી ગયું.


કહેવાય છે કે ૧૯૭૩થી ૭૫ દરમિયાન તેણે થાઈલેન્ડમાં એકથી બે ડઝન પ્રવાસીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. તે થાઇલેન્ડ પોલીસના હાથમાં આવી ગયો હતો પણ પુરાવાના અભાવે તે છટકી ગયો. થાઈલેન્ડમાં તેને જોખમ લાગ્યું એટલે ૧૯૭૫માં તે નેપાળ પહોંચ્યો ત્યાં તેણે કેનેડાની મહિલા અને અમેરિકાના નાગરિકની હત્યા કરી. કાઠમંડુથી ભાગી તે ભારત આવ્યો. અહીં ૧૯૭૬ની શરૂઆતમાં તે મુંબઈ, દિલ્હી અને ગોવામાં પ્રવાસીઓને લૂંટતો રહ્યો.

મૃત્યુદંડથી બચવા યુક્તિ વાપરી

દિલ્હીમાં એ સમયે ફ્રાન્સના વિદ્યાર્થીઓનો સમૂહ આવ્યો હતો. શોભરાજ તેમની સાથે હળીમળી ગયો. ત્રણને ડ્રગ્સનો ઓવરડોઝ આપ્યો. સદભાગ્યે બચી ગયા. શોભરાજ સામે ગુનો નોંધાયો. દિલ્હીમાં જ હોવાથી ૧૯૭૬ના જુલાઈમાં તેને પોલીસે પકડી લીધો. ગોવાનો કેસ પણ તેની સામે હતો. આ ઉપરાંત ૧૯૭૩ના વર્ષમાં સારવારના બહાને ફરાર થયો હતો એ ગુનો પણ તેની સામે હતો. આ પ્રકારે ત્રણ વર્ષ બાદ ત્રણ ત્રણ ગુનામાં તે પોલીસના હાથમાં આવ્યો. દરમિયાન બેન્કોકમાં તેણે કરેલી હત્યાઓ અંગે ત્યાંની પોલીસને પુરાવા મળ્યા હતા એટલે થાઈલેન્ડ સરકારે ભારત સરકાર સમક્ષ તેની સોંપણી કરવા માંગ કરી પરંતુ ભારતીય કાયદા મુજબ અહીંની ધરતી પર તેણે ગુનો આચાર્યો હોવાથી તેને પહેલા સજા ભારત આપશે એવું ઠરાવવામાં આવ્યું. તેની સામેનો મુકદ્દમો ચાલ્યો. સખત અને લાંબી સજા થવાની ધારણા હતી પરંતુ પૂરતા પુરાવાના અભાવે તેને માત્ર ૧૨ વર્ષની કેદ થઈ. ૧૯૮૮માં તે મુક્ત થવાનો હતો. પ્રથમવાર તેણે લાંબી કેદ ભોગવી. એ સિવાય તે પાંચ જુદાજુદા દેશોની જેલમાંથી ભાગી છુટ્યો હતો. 

તિહાડ જેલમાં તે ડાહ્યોડમરો થઈને રહેવા લાગ્યો. તેના ઉપર ખાસ નજર રાખવામાં આવતી છતાં તે ભાગે એવું જણાતું નહોતું. સતત દસ વર્ષ તેણે શિસ્તદ્ધ કેદી તરીકે વિતાવ્યા. ‘ગુનાખોરીની દુનિયા અત્યંત ખરાબ છે’ એવું પણ તે જેલમાં કહેતો. જેલ અધિકારીઓ-કર્મચારીઓ તેનાથી પ્રભાવિત થઈ રહ્યા હતા. ભરોસો જીતી લેવો અને પછી પીઠ પાછળ ખંજર ભોંકવું એ તેની જૂની આદત હતી. તેના દિમાગમાં જુદી જ રમત ચાલી રહી હતી. ભારતની જેલમાં કોઈ પણ રીતે ૨૦ વર્ષ કાઢવાનો તેનો પ્લાન હતો. ૧૯૭૬માં પકડાયો, ૧૨ વર્ષની સજા એટલે ૧૯૮૮માં છૂટવાનો હતો. ભારતમાં તેની સજા પૂરી થાય એ સાથે જ થાઈલેન્ડ સરકારની માગણી પ્રમાણે તેને બેન્કોક પોલીસને હવાલે કરવાનો હતો. થાઇલેન્ડના કાયદા મુજબ તેને સીધી મોતની સજા થવાની હતી. પરંતુ થાઇલેન્ડમાં એક કાયદો એવો પણ છે જેની જોગવાઈ મુજબ ગુના માટેના વોરન્ટની સમય મર્યાદા ૨૦ વર્ષ સુધીની છે. ૨૦ વર્ષમાં એની બજવણી ન થાય, મુકદ્દમો પૂરો ન થાય, આરોપીની ધરપકડ ન થાય, એની સજાનું એલાન ન થાય, તો એ કેસ જાતે જ રદબાતલ ઠરે છે. શોભરાજના દિમાગમાં આ બધું ચાલતું હતું જે કોઈએ કદાચ વિચાર્યું પણ નહોતું અને તે તિહાડ જેલમાં આરામથી સજા કાપતો હતો. સૌ વિચારતા હતા કે ’૮૮માં તેનો છૂટકારો થવાનો છે, બલકે સારી વર્તણૂકને કારણે એકાદ વર્ષ વહેલો જ તેને મુક્ત કરવામાં આવે એવું પણ બને! જોકે તિહાડમાં ૧૦ વર્ષ પૂરા થયા એ સાથે તેણે તેના મનમાં ચાલતી રમતને અમલમાં મૂકી. 

કહેવાય છે કે તિહાડ જેલમાં તે ઠાઠમાઠથી જિંદગી જીવતો હતો. કારણ મબલખ રૂપિયો. જેલના નિયમોનું ચુસ્ત પાલન કરતો, કેદીઓ સાથે પણ સારું વર્તન કરતો. એટલે જેલસ્ટાફ અને સાથી બંદીવાનોના હૃદયમાં સ્થાન મેળવી લીધું હતું. ૧૯૮૬માં અચાનક ધીરે ધીરે તેણે નશીલી દવાઓ એકત્ર કરવા માંડી. એક દિવસ અઠવાડિયા પહેલાં તેણે જાહેર કર્યું કે, ‘મારો જન્મ દિવસ આવે છે, તો બધા જેલસ્ટાફ અને કેદી ભાઈઓ સાથે ઊજવણી કરીશ.’ સૌએ તેણે શુભકામના પાઠવી. જન્મ દિવસે તેણે સ્ટાફની મદદથી કેક અને લાડુ, જલેબી જેવી મીઠાઈઓ મંગાવી. આ બધા ખાદ્યપદાર્થોમાં તેણે નશીલી દવા ભેળવી દીધી. જેલમાં ચાર કેદી સાથે તેની ભાઈબંધી થઈ હતી, પણ તેણે પોતાના ષડયંત્ર વિશે એમને ગંધ આવવા દીધી નહોતી. જન્મદિવસની રાતે મિજબાની પહેલાં તેણે આ ચારેયને માત્ર એટલું કહ્યું, કે ‘તમે લોકો આમાંની કોઈ વસ્તુ ખાતા નહિ.’ બાદમાં ચાર્લ્સે તેની બેરેકના તમામ કેદીઓ તેમ જ બેરકથી માંડી મુખ્ય દરવાજા સુધીના તમામ સ્ટાફને પોતાના હાથેથી મીઠાઈ ને કેક ખવડાવ્યા. થોડીમાં દવાએ અસર કરી અને સૌ બેભાન થયા. બાદમાં શોભરાજ અને ચારેય મિત્રો આરામથી જેલની બહાર આવ્યા. તેની પાસે કેમેરા પણ હતો જેના વડે તસવીરો પણ લીધી! પોતે પેલા ચારેય મિત્રોથી અલગ થઈ ગયો. જેલમાંથી તેના ભાગવાના સમાચારે ભારે ખળભળાટ જગાવ્યો. પણ તે તો આરામથી દિલ્હીથી ગોવા પહોંચ્યો. બીચ પર રખડ્યો, કેસીનોમાં ગયો. વેશપલટો કરી, નામ બદલીને રહેવામાં તે કાબો હતો પણ ગોવામાં તેણે એવું કંઈ કર્યું નહિ! થોડા દિવસો બાદ ગોવાની જ એક હોટલમાં તેને જોવામાં આવ્યો. મુંબઈમાં તે હતો ત્યારના ત્યાંના એક પોલીસ અધિકારી પણ તેની શોધમાં હતા. કોઈએ તેમને બાતમી આપી એટલે તેમણે શોભરાજને પકડી લીધો. શોભરાજે ખુશીખુશી ધરપકડ વહોરી કારણ કે તેના મનની મુરાદ પૂરી થઈ હતી. તે ઇચ્છતો હતો કે જો ભારતમાં તેનો જેલવાસ લંબાય તો થાઇલેન્ડના મૃત્યુદંડથી બચી શકાય અને એવું જ થયું. તેને વધુ ૯ વર્ષની કેદ થઈ. ૧૯૮૬માં તેણે મુક્ત થવાનું હતું, એ સજા વધીને ૧૯૯૭ સુધી લંબાઈ. ત્યાં સુધીમાં થાઈલેન્ડના ગુનાની સમયમર્યાદા પૂરી થઈ ગઈ! 

ભારતમાં તેની સજા પૂરી થતાં ૭ ફેબ્રુઆરી ૧૯૯૭માં તે જેલમુક્ત  થયો. ‘૭૬માં પકડાયો અને ‘૯૭માં છૂટ્યો એટલે પૂરા ૨૧ વર્ષ સુધી તિહાડ જેલમાં રહ્યો. આટલા લાંબા સમય સુધી જેલમાં રહેવાનો પણ તેણે તિહાડમાં વિક્રમ બનાવ્યો. તે ફ્રેન્ચ નાગરિક હોવાથી છૂટકારા બાદ ભારત સરકારે તેને ફ્રાન્સ ડિપોર્ટ કર્યો. ત્યાં સુધીમાં તે એટલો જાણીતો બની ચૂક્યો હતો કે ફ્રાન્સ પહોંચ્યો ત્યારે હિરોની જેમ લોકોએ એનું સ્વાગત કર્યું. લોકો તેની સાથે તસવીરો પડાવવા લાગ્યા. ત્યાં જ હોલીવૂડના એક નિર્માતાએ તેના જીવન ઉપર ફિલ્મ બનાવવા માટે પ્રસ્તાવ મૂક્યો. જેને સ્વીકારીને શોભરાજે રૂ.૯૦ કરોડની કમાણી કરી. એવું પણ કહેવાય છે મીડિયામાં ઇન્ટરવ્યુ આપવા માટે પણ તે પાંચ-પાંચ હજાર ડોલરની ફી વસૂલતો. ૧૯૯૭થી ૨૦૦૩ સુધી તે ફ્રાન્સમાં આનંદ અને શાંતિથી રહ્યો. બીજા કોઈ કેસ હતા નહિ. પણ હજી એક જેલવાસ તેને પોકારતો હતો. અચાનક ૨૦૦૩માં તે પોતાની પેરિસની આરામદાયક જિંદગી છોડીને નેપાળના કાઠમંડુ શહેરમાં પહોંચ્યો. ત્યાં હોટલમાં રહ્યો, કેસીનોમાં જુગાર રમતો. એક વખત જાહેરમાં ફરતો હતો એવામાં કોઈ સ્થાનિક પત્રકાર તેને જોઈ ગયો. તેણે તંત્રને જાણ કરી કે ચાર્લ્સ શોભરાજ અહીં ખુલ્લેઆમ ફરી રહ્યો છે. ૧૯ સપ્ટેમ્બર ૨૦૦૩ના રોજ કાઠમંડુની યાક એન્ડ યતી હોટલમાંથી તેને પોલીસે પકડ્યો. 

૧૯૭૫માં જ્યારે થાઇલેન્ડથી ભાગીને તે નેપાળ ગયેલો ત્યારે કેનેડાની મહિલા અને એક અમેરિકન નાગરિકની હત્યા થઈ હતી. એ બન્ને હત્યામાં તેની વિરુદ્ધ પુરાવા મળ્યા હોવાથી પોલીસ તેને શોધતી હતી. ધરપકડ બાદ તેની સામે કેસ ચાલ્યો. નીચલી અદાલતે તેને આજીવન કેદની સજા ફટકારી. સુપ્રીમ કોર્ટમાં તેણે કરેલી અપીલ પણ ફગાવી દેવાઈ હતી. આ સજા પૂરી કરી હવે તે મુક્ત થઈ ફરી ફ્રાન્સ પહોંચ્યો છે. પણ હવે ૭૮ વર્ષની ઉંમરે શોભરાજ શું કરશે એ કોઈ કહી શકે એમ નથી. કેમકે તેના દિમાગમાં શું ચાલી રહ્યું એ તેના સિવાઈ કોઈને તે કળવા દેતો નથી. 

વકીલની પુત્રી સાથે જેલમાં લગ્ન કર્યા!

નેપાળમાં તેણે શકુંતલા થાપા નામની વકીલ રાખેલી. એ વકીલની ૨૦ વર્ષીય દીકરી નિહિતા વિશ્વાસ, શોભરાજના કેસ સબંધમાં માતા સાથે જેલમાં જતી. અચાનક એક દિવસ એક સમાચારે સૌને ચોંકાવી દીધા! ૮ ઓક્ટોબર ૨૦૦૮ના દિવસે કેટલીક તસવીરો જાહેર થઈ. શોભરાજ નિહિતાના સેંથે સિંદૂર ભરી રહ્યો છે! બન્નેએ જેલમાં જ લગ્ન કરી લીધા હતા! આ લગ્ન પણ જેલમાંથી બહાર આવવા માટે કાવતરું હોવાનું પણ કહેવાતું. 

કયા કયા દેશોમાં ગુનાખોરી આચરી

શોભરાજ હત્યા કરીને મૃતકનો પાસપોર્ટ તફડાવી લેતો. એમાં ફોટો પોતાનો ચોંટાડી દેતો. કહેવાય છે કે તેની પાસે જુદા જુદા ૧૦ દેશોના પાસપોર્ટ હતા. જેના વડે તે એકથી બીજા દેશમાં ઘૂસી જતો. ફ્રાન્સ, ભારત અને નેપાળ ઉપરાંત તે અફઘાનિસ્તાન, ગ્રીસ, ઈરાન, પાકિસ્તાન, યુગોસ્લાવિયા, રોમ, બલગેરિયા, ડેનમાર્ક, તુર્કી વગેરે દેશોમાં તેણે ગુનાખોરી આચરી હતી. 

('અભિયાન' સાપ્તાહિકના  ૦૭ જાન્યુઆરી, ૨૦૨૩ના અંકમાં પ્રકાશિત  લેખ થોડા ફેરફાર સાથે)

No comments:

Featured post

રાજકોટની એક વાર્તાશિબિરનો અધૂરો અહેવાલ

(રાજકોટમાં  સાહિત્યિક મંડળ ‘ભારવિ’ દ્વારા  એક વાર્તાશિબિરનું આયોજન થયું હતું . મારી ડાયરીમાં એનો શીર્ષક વિનાનો , અધૂરો , ઉતાવળિયો અને કાચ...