Wednesday, 7 December 2022

વિક્રમ ગોખલેઃ ગુજરાતી ફિલ્મ જગતના પણ તેઓ સ્ટાર હતા


વિક્રમ ગોખલેએ છેલ્લા શ્વાસ લીધા એ સાથે હિન્દી-મરાઠી ફિલ્મ અને નાટ્ય જગતમાં શોક છવાઈ ગયો. જોકે ગુજરાતી દર્શકોમાં પણ આઘાત ઓછો નથી. બહુધા મરાઠી રંગમંચ અને હિન્દી-મરાઠી ફિલ્મના અભિનેતા તરીકે ગોખલેને યાદ કરવામાં આવે છે પણ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ સાથે પણ તેમનો અતૂટ નાતો રહ્યો હતો. તેમણે ગુજરાતી ફિલ્મના સુવર્ણ યુગમાં એકાધિક ફિલ્મોમાં અભિનય કરી ગુજરાતી દર્શકોના હૃદયમાં સ્થાન મેળવી લીધું હતું. 

વિક્રમ ગોખલનો જન્મ પુણેમાં. મુખ્યત્વે ફિલ્મ, ટેલિવિઝન અને નાટકના કલાકાર. તેમણે મરાઠી રંગભૂમિ, હિન્દી ફિલ્મો અને ટીવી સીરિયલોમાં મહત્ત્વના પાત્રો ભજવ્યાં. અભિનય તો જાણે વારસામાં મળ્યો હતો. તેમનાં પરદાદી દુર્ગાબાઈ કામત ભારતીય સિનેજગતનાં પ્રથમ અભિનેત્રી. તેમનાં દાદી કમલાબાઈ પ્રથમ મહિલા બાળ કલાકાર. તેમના પિતા ચંદ્રકાંત ગોખલે મરાઠી રંગમંચ અને ફિલ્મ કલાકાર હતા. આ પ્રકારે પરિવારમાંથી જ અભિયનકળાનું વાતાવરણ મળ્યું. એટલે પુખ્ત થયા એ સાથે તેઓ પણ ફિલ્મ અને નાટ્યજગતમાં પ્રવેશ્યા. 

હિન્દી ફિલ્મોમાં અમિતાભ બચ્ચન સાથેની ‘પરવાના’, ‘અગ્નિપથ’ અને ‘ખુદા ગવાહ’ તેમની કારકીર્દિની ત્રણ યાદગાર ફિલ્મો ગણાય છે. એ પ્રકારે ‘વિક્રમવેતાલ’, ‘હમ દિલ દે ચૂકે સનમ’, ‘ભુલભુલૈયા’ જેવી કેટલીય ફિલ્મોમાં અભિનય કરી, તેમણે બહોળી લોકચાહના મેળવી હતી.

ઉત્કૃષ્ટ અભિનયને કારણે વિક્રમ ગોખલેને અનેક માનઅકરામ મળ્યાં. ૨૦૧૩માં આવેલી મરાઠી ફિલ્મ ‘અનુમતિ’માં ભજવેલા યાદગાર અભિનયને લીધે તેમને શ્રેષ્ઠ અભિનેતાનો નેશનલ ફિલ્મ એવોર્ડ એનાયત થયો હતો. અભિનયની સાથે તેમણે નિર્દેશન ક્ષેત્રે પણ પ્રયોગ કર્યા. ૨૦૧૦માં રિલીઝ થયેલી ‘આઘાત’ તેમની નિર્દેશિત પ્રથમ મરાઠી ફિલ્મ. 

અભિનયની સૂક્ષ્મતાઓના જાણતલ અને લોકપ્રિય હોવાની સાથે એક વ્યક્તિ તરીકે પણ તેઓ ઊંચા દરજ્જાના હતા. એનો દાખલો આપતાં ગાયક પ્રફુલ્લ દવે ફેસબુક પર લખેલા સંસ્મરણમાં કહે છેઃ ‘હમ દિલ દે ચુકે સનમ’ જેવી અનેક ફિલ્મોની સફળતા પછી એક વાર એ એર ઇન્ડિયાની ફ્લાઇટના બિઝનેસ ક્લાસમાં અમેરિકા અભિનયના વર્કશોપ માટે જતા હતા અને એ જ ફ્લાઇટમાં હું પણ હતો પણ ઇકોનોમી ક્લાસમાં! એ મને ઓચિંતા જોઈ ગયા અને મારો હાથ પકડીને બિઝનેસ ક્લાસમાં લઈ ગયા! મેં કહ્યું, વિક્રમભાઈ મારી ઇકોનોમીની ટિકીટ છે તો એણે એ જ વખતે બિઝનેસ ક્લાસના ક્રુઝ (કર્મચારીઓ)ને મરાઠીમાં કહી દીધું કે “જે પૈસા થાય એ કહો એટલે ક્રેડીટ કાર્ડથી ચુકવી દઉં! આ ગુજરાતના બહુ મોટા ગાયક છે અને એના કારણે ગુજરાતી ફિલ્મો અને મારી જેવા હીરો ચાલ્યા છે! જોકે એર ઇન્ડિયાએ ચાર્જ ના કર્યો પણ વિક્રમભાઈના કારણે ફેવર કરી અને હું પણ થોડીવાર એની સાથે બેસીને પાછો મારી ઇકોનોમીની સીટ પર જતો રહ્યો.’


જ્યારે 1975થી 1990 દરમ્યાન ગુજરાતી ફિલ્મ જગતનો સોનેરી યુગ ચાલતો હતો ત્યારે મરાઠી ફિલ્મો અને રંગભૂમિના અને ટેલિવિઝનના દિગ્ગજ અભિનેતા વિક્રમ ગોખલેએ ‘કોઈનું મિંઢોળ કોઈના હાથે’, ‘ચોરીના ફેરા ચાર’, ‘જય મહાકાળી’, ‘આપો જાદરો’, ‘પાળિયાનો પડકાર’, વગેરે જેવી ઘણી ગુજરાતી ફિલ્મોમાં દમદાર અભિનય કરેલો, આ બધી ફિલ્મોના ગીતોમાં પ્રફુલ્લ દવેએ એમને કંઠ આપ્યો હતો. એ ગીતો સુપરહિટ થયા હતા. 

ગુજરાતી ફિલ્મોમાં તેમના અભિનયને લીધે દર્શકો તેમને ગુજરાતી જ માનતા. તેમની ડાયલોગ બોલવાની છટા લોકોનું મન મોહી લેતી. તેમના એ સંવાદો અને ગીતોને તેમના ચાહકો આજેય યાદ કરે છે.

ગોખલે પુણેમાં સુજાતા ફાર્મ્સ નામની રિયલ એસ્ટેટ પેઢી ચલાવતા હતા. તેઓ સામાજિક કાર્યકર પણ હતા. તેમના પરિવારનું ચેરિટેબલ ફાઉન્ડેશન વિકલાંગ સૈનિકો, રક્તપિત્તથી પીડાતા અને અનાથ બાળકોના શિક્ષણ માટે નાણાકીય સહાય પૂરી પાડે છે. 

ફેબ્રુઆરી 2016માં ગળાની બિમારીને કારણે તેમણે રંગભૂમિની પ્રવૃત્તિઓમાંથી નિવૃત્તિ લીધી હતી. જોકે તેમણે ફિલ્મમાં અભિનય ચાલુ રાખ્યો હતો. તેમને 5 નવેમ્બર 2022ના રોજ પુણેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં એકથી વધુ અંગોએ કામ કરવાનું બંધ કરી દેતાં 26મી નવેમ્બરે તેમનું 77 વર્ષની વયે તેમનું નિધન થયું.

(અભિયાન સાપ્તાહિકના  ૧૦ ડિસેમ્બર, ૨૦૨૨ના અંકમાં પ્રકાશિત)


Tuesday, 29 November 2022

દૃશ્યમ્-૨: દૃશ્યોની જમાવટ વચ્ચે બેકગ્રાઉન્ડ મ્યુઝિકનો ઘોંઘાટ


આ વર્ષે જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી એ અજય દેવગન, તબ્બુ અને અક્ષય ખન્ના અભિનીત ફિલ્મ 'દ્રશ્યમ-૨' ૧૮ નવેમ્બરે રિલીઝ થઈ છે. અભિષેક પાઠક નિર્દેશિત આ ફિલ્મ ગત વર્ષે આ જ નામે રિલીઝ થયેલી મલયાલમ ફિલ્મની સત્તાવાર રિમેક છે. વર્ષ ૨૦૧૫માં આવેલી ‘દૃશ્યમ’નો આ બીજો ભાગ હોવાથી સ્વાભાવિક છે કે એમાં ફિલ્મની અંદર ભેદી છે એવી હત્યાની એની એ જ કથા છે, મુખ્ય કલાકારો પણ એ જ છે. તપાસ જ્યાં અટકી હતી, એ નવા પોલીસ અધિકારી આવતાં ફરીથી શરૂ કરે છે. એક પછી એક કડીઓ ખૂલતી જાય છે, એમાં સરેરાશ દર્શકોને મનોરંજન મળે છે.  

ફિલ્મની શરૂઆતમાં કોઈ સનસનીખેજ દૃશ્ય આવે, જેનો ફિલ્મ સાથે કોઈ દેખીતો સંબંધ હોવાનું ન લાગે પણ જ્યારે ફિલ્મ ચરમસીમાએ પહોંચવામાં હોય એ પહેલાં જ પ્રારંભના એ સીનનો તંતુ જોડાઈ જાય. આ ઘસાયેલી ટ્રિકનો દૃશ્યમ-૨માં ઉપયોગ કરવામાં આવ્યો છે, એટલે શરૂઆતનો ખાસ્સો એવો સમય કંટાળાજનક લાગે છે. ત્યાં સુધીમાં હત્યાનો ભેદ ઉકેલવામાં ઇન્સ્પેક્ટર જનરલ તરીકે અક્ષય ખન્નાની એન્ટ્રી થતાં ફિલ્મ ગતિ પકડે છે. સબ-ઇન્સ્પેક્ટર લક્ષ્મીકાંત ગાયતોન્ડે (કમલેશ સાવંત) અને ઇન્સ્પેક્ટર જનરલ વચ્ચેના સંવાદમાં હાસ્ય જન્માવવાનો પ્રયાસ કૃતક જણાય છે. વિષય ભારેખમ હોવાથી ફિલ્મને થોડી હળવી રાખવા કદાચ વચ્ચે હાસ્યનો પ્રયોગ કરવામાં આવ્યો છે, એ જૂની ફોર્મ્યુલા પણ અહીં અપેક્ષા પ્રમાણે કારગત નીવડી નથી. 

પોલીસ, કોર્ટ જેવા તંત્રને ફિલ્મની પટકથામાં આવરી લેવામાં આવ્યા હોવાથી એને સંગત કેટલીક મર્યાદાઓ પણ જોવા મળે છે. આઇપીએસ કક્ષાનો કોઈ અધિકારી હત્યાકેસના શકમંદના ઘરે અચાનક જઈ પહોંચે એ વાત ગળે ઊતરતી નથી. ચર્ચાસ્પદ અને અણઉકેલ હત્યાના બનાવમાં મૃતકનું મનાતું હાડપિંજર ફોરેન્સિક સાયન્સની લેબમાં રાખવામાં આવે પણ ત્યાં માત્ર એક જ ચોકીદાર હોય, સીસીટીવી કેમેરા જ ન હોય, ક્યા યહ મુમકિન હૈ? ખેર, આ તો કાલ્પનિક સ્ટોરી પરથી મનોરંજનાર્થે સર્જાયેલું ચિત્રપટ છે, એમાં તર્ક થોડા લડાવવાના હોય! પરંપરા મુજબ દર્શકો મગજ બહાર મૂકીને ફિલ્મ જોવા જાય છે, બે કલાક રોમાંચ મેળવવા જાય છે, એ રીતે જોઈએ તો કોઈ વાંધો નથી. પણ હવે ભારતીય દર્શક પરિપક્વ બન્યો છે. એટલે સવાલ તો બનતા હી હૈ!   

ફિલ્મમાં એક રસપ્રદ વાત એ જોવા મળી કે એમાં કથાની અંદર ઉપકથા આવે છે, જોકે એ પાસાને વધારે અવકાશ આપવામાં આવ્યો નથી. વાત એમ છે કે અપરાધી વિજય(અજય દેવગન)ને એવી ગળા સુધીની ખાતરી છે કે એક દિવસ તે પકડાશે. એટલે તે આખા બનાવને મળતી આવે એવી નવલકથા લખે છે. પટકથા લેખક મુરાદ અલી(સૌરભ શુક્લા) સાથે એ કથા ઉપરથી ફિલ્મ બનાવવાના બહાને મિત્રતા કેળવી, એના નામે વિજયે એ પુસ્તકની થોડી નકલો પ્રસિદ્ધ કરાવી લીધી હોય છે. પછી જ્યારે વિજયને પકડીને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે એ વખતે હાડપિંજર અન્ય મૃતકનું હોવાનું સામે આવતાં જ વિજયની વકીલ ન્યાયધીશને કહે છે કે પોલીસે આ કેસની સ્ટોરી નવલકથા ઉપરથી ઉપજાવી કાઢી છે! અને જજ સાહેબ પણ એ દલીલ સ્વીકારી લે છે! 

આવી કેટલીક મર્યાદાઓ હોવા છતાં ફિલ્મને સારો આવકાર મળી રહ્યો છે. બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી હોવાના સમાચારો પણ આવી રહ્યા છે. અલબત્ત દર્શકોના માથાં પણ ફિલ્મ જોયા બાદ દુખવા લાગ્યા. પૂછો ક્યૂં? અરે, ભાઈ સસ્પેન્સ અને થ્રિલર મૂવી હોય એટલે દિલધડક દૃશ્યો વખતે હૃદયના ધબકારા વધારી મૂકે એવું બેકગ્રાઉન્ડ મ્યુઝિક નાછૂટકે સાંભળવું પડે ને! એ સંગીતરૂપી ઘોંઘાટ પણ ફિલ્મ માણવામાં બાધારૂપ બને છે.

(‘અભિયાન’ મેગેઝિન ૦૩ ડિસેમ્બર, ૨૦૨૨માં પ્રકાશિત)


Thursday, 3 November 2022

અભિનેત્રી વૈશાલી ઠક્કરની આત્મહત્યાનો કોયડો

ઘરના આંગણે લગ્નની શરણાઈઓ વાગવાને માત્ર પાંચ દિવસની વાર હતી. મમ્મી-પપ્પા અને ભાઈના હૈયાં આનંદની છલોછલ હતા. દિવાળીના તહેવારો પણ હાથવેંતમાં હોવાથી ખુશીઓ પણ બમણી થવાની હતી. પણ વિધાતાને જાણે ઠક્કર પરિવારની આ ખુશી મંજૂર નહોતી. હજી જુલાઈ મહિનામાં જ તેણે થાઈલેન્ડમાં જન્મદિવસની મનભરીને ઉજવણી કરી. પણ તેના ચહેરાનું આ સ્મિત એના મિત્રોને જરા વિચિત્ર જણાતું હતું. એક વેદના હતી, જે ખુશમિજાજ મુખડા પાછળથી ડોકિયાં કરતી હતી. શી હતી એ પીડા? શાં હતાં એનાં કારણો? તેણે બધું જ જાહેર કર્યું, પણ ત્યાં સુધીમાં તો એ જતી રહી હતી હંમેશને માટે!



આ વાત છે ‘યહ રિશ્તા ક્યા કેહલાતા હૈ’ અને ‘સસુરાલ સિમર કા’ જેવી ટીવી સીરિયલથી દર્શકોના દિલમાં સ્થાન મેળવી ચુકેલી લોકપ્રિય અભિનેત્રી વૈશાલી ઠક્કરની. તેણે ૧૫મી ઓક્ટોબરે રાતે ઇન્દોર શહેરની સાંઈ બાગ કોલોનીમાં આવેલા પોતાના ઘરે ગળેફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી. આ ઘટનાએ ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં ભારે આઘાત જન્માવ્યો. ૩૦ વર્ષની કુમળી વયે અપાર ચાહના મેળવી લેનાર વૈશાલીના જવાથી તેના ચાહકો પણ હજી સુધી શોકમાંથી બહાર આવ્યા નથી. 

વૈશાલીએ જ્યાં આત્મહત્યા કરી એ ઓરડામાંથી પોલીસને એક સુસાઈડ નોટ મળી આવી હતી. એમાં લખ્યા મુજબ તેને તેના પાડોશમાં રહેતો પૂર્વ બોયફ્રેન્ડ રાહુલ નવલાની છેલ્લા કેટલાક વર્ષોથી પજવતો હતો. તે શારીરિક અને માનસિક ત્રાસ પણ આપતો હતો. એમાં રાહુલની પત્ની દિશા પણ સાથ આપી રહી હતી. રાહુલને બે બાળકો પણ છે.  રાહુલ વૈશાલીને લગ્ન કરવા દેતો ન હતો. 

વૈશાલીના લગ્ન કેલિફોર્નિયાના સોફ્ટવેર એન્જિનિયર મિતેશ સાથે થવાના હતા. બંનેએ લગ્ન માટે કાયદાકીય પ્રક્રિયા પણ શરૂ કરી દીધી હતી. લગ્નની નોંધણી માટેની અરજી ઈન્દોરની જિલ્લા કલેક્ટર કચેરીમાં કરવામાં આવી હતી. જે મુજબ મિતેશ સુરેન્દ્ર કુમાર ગોર અને વૈશાલી હરભગવાન ઠક્કરની અરજી 20 સપ્ટેમ્બરે મેરેજ એક્ટ હેઠળ મળી હતી. નોંધણી મુજબ, લગ્ન અરજીની તારીખથી લગભગ એકથી ત્રણ મહિનામાં થવાના હતા.

ઇન્દોરમાં જ મંગેતર મિતેશ ગોર સાથે વૈશાલીના લગ્ન ૨૦ ઓક્ટોબરે કરવાના નક્કી થયા હતા. એવામાં આ સગપણ તોડાવવા રાહુલે વૈશાલી સાથેની ખાનગી તસવીર મિતેશને મોકલી દીધી હતી. રાહુલની આવી હરકતોથી છેવટે વૈશાલી હારી ગઈ હતી. 

આપઘાતનો બનાવ બન્યાના ચોથા દિવસે પોલીસે ઇન્દોર પાસે જ રાહુલને પકડી લીધો. આઠ દિવસ સુધી રિમાન્ડ હેઠળ રાખ્યા બાદ કોર્ટમાં રજુ કરવામાં આવ્યો, અને કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો. રાહુલ વિરુદ્ધ સજ્જડ પુરાવા હોવાનો પોલીસે દાવો કર્યો છે. પોલીસે તેના મોબાઇલ ફોન કબજે કરી એમાંથી ડિલિટ કરાયેલો ડેટા પણ પરત મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. 

વૈશાલીના વ્યક્તિગત સામાનમાંથી મળેલી ડાયરીમાંથી મહત્ત્વની વિગતો બહાર આવી. એ ડાયરી પ્રમાણે રાહુલ તેને છેલ્લા કેટલાય સમયથી હેરાન કરતો હતો. આ મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો તે રસ્તો શોધતી હતી. કદાચ આ રસ્તો તેને આત્મહત્યામાં દેખાયો. 

વૈશાલીએ પોતાની સુસાઈડ નોટમાં લખ્યું છે- 

મમ્મી, પપ્પા. 

બસ તમે હવે કંઈ ના કરો. તમે લોકો પણ મારા માટે ખૂબ જ પરેશાન થશો. માત્ર હું જ જાણું છું કે 2 વર્ષમાં મેં કેવું યુદ્ધ લડ્યું છે. રાહુલ નવલાનીએ મારી સાથે શું ખોટું કર્યું છે તે પણ હું કહી શકતી નથી. મારું કેવી રીતે ભાવનાત્મક રીતે શોષણ થયું, શારીરિક શોષણ થયું અને આખરે તેણે ‘હું તારા લગ્ન થવા દઈશ નહીં’ એવું કહેલું એ કરી બતાવ્યું. જો દીકરી નહીં હોય, તો એના વિશેની કોઈ સમસ્યા પણ નહિ રહે. હું જાઉં છું મા. લવ યુ પપ્પા-મા. મને માફ કરજો. હું સારી દીકરી ન બની શકી. રાહુલ અને દિશાએ મને બે વર્ષ સુધી માનસિક રીતે ટોર્ચર કરી. કૃપા કરીને રાહુલ અને તેના પરિવારને સજા અપાવજો, નહીં તો મારા આત્માને શાંતિ નહિ મળે. તમને મારા સમ છે. ખુશ રહેજો. હું તમને ખૂબ પ્રેમ કરું છું. મિતેશ પ્રત્યે પણ હું દિલગીર છું. 

લિ. વૈશાલી ઠક્કર

તેનાં માતા અન્નુ કૌર ઠક્કરનું કહેવું છે કે ‘વૈશાલીએ પોતાની સુસાઈડ નોટમાં લખ્યું છે કે તેને ન્યાય મળવો જોઈએ, અમે પણ ઈચ્છીએ છીએ કે વૈશાલીને ન્યાય મળે. રાહુલ અને તેની પત્ની ત્રાસ આપતા હતા. તેને ઘરે બોલાવીને સમજાવવામાં આવ્યો, પરંતુ તે માન્યો ન હતો, તેની પત્ની પણ રાહુલને સાચો માનતી હતી અને કહેતી હતી કે મારા પતિ સાચા છે, વૈશાલી ખોટી છે, તેણે રાહુલને ફસાવી દીધો છે. તેના કારણે મારું ઘર બરબાદ થઈ રહ્યું છે પરંતુ રાહુલને કારણે વૈશાલીનું જીવન બરબાદ થઈ ગયું.’ 

વૈશાલીના ભાઈ નીરજ ઠક્કરે જાહેર કર્યું કે રાહુલ અને તેના પિતા પ્લાયવૂડના જથ્થાબંધ વેપારી છે. ઉપરાંત રાહુલ લૈમનેટ્સ નામે પેઢી પણ ચલાવે છે. રાહુલ અને વૈશાલીના પિતા વચ્ચે દોસ્તી હોવાથી બન્ને એકમેકના પરિચયમાં આવ્યા હતા. રાહુલ ક્યારેય કોલેજ ગયો નથી. છેલ્લા ૧૦-૧૨ વર્ષથી તે વૈશાલીની સોસાયટીમાં રહેતો હતો. 

વૈશાલીએ કેરિયર અને લગ્નજીવન અંગે ઘણા સપના જોયાં હતાં. પણ એક માણસે તેની જિંદગી બરબાદ કરી નાખી. આ દરમ્યાન વૈશાલીના મિત્ર નિશાંત મલકાનીએ એક ઇન્ટરવ્યુમાં બન્ને વિશે ઘણા ખુલાસા કર્યા. નિશાંતે જણાવ્યું હતું કે, ‘રાહુલ વૈશાલીને ખૂબ હેરાન કરતો હતો અને તે વૈશાલીના મંગેતરને પણ મેસેજ કરીને પરેશાન કરતો હતો. રાહુલ વૈશાલીને આગળ વધવા દેતો ન હતો. આ કારણે એ ડિપ્રેશનમાં રહેવા લાગી. તેણે મનોચિકિત્સકની મદદ પણ લીધી. વૈશાલી સેટ પર ખૂબ રડતી હતી અને યોગ્ય રીતે અભિનય પણ કરી શકતી નહોતી.’

ધરપકડ બાદ રાહુલને 28 ઓક્ટોબર સુધીના રિમાન્ડ પર લેવામાં આવ્યો હતો. જોકે પોલીસને રાહુલની પૂછપરછમાં અત્યાર સુધી કોઈ મહત્વપૂર્ણ પુરાવા મળ્યા નથી. તેના રિમાન્ડ પણ પૂરા થઈ ગયા છે. વૈશાલીની આત્મહત્યા બાદ રાહુલ તેની પત્ની સાથે ફરાર થઈ ગયો હતો. રાહુલ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો, પરંતુ તેની પત્ની દિશા હજુ તા.૩૧ ઓક્ટબર સુધી પોલીસને હાથ લાગી નથી. રાહુલે પૂછપરછ દરમિયાન પોલીસને તપાસમાં મદદ મળે એવી કોઈ વિગતો આપી નથી. પરંતુ તેણે એક નવો દાવો કર્યો, જેનાથી પોલીસ મૂંઝવણમાં મુકાઈ છે. પૂછપરછ દરમિયાન રાહુલે પોલીસને જણાવ્યું કે વૈશાલી ઠક્કરને ટીવી ઈન્ડસ્ટ્રીમાં કામ મળતું ન હતું, તેથી તે તેના સંપર્કમાં હતી. રાહુલે દાવો કર્યો હતો કે વૈશાલી આર્થિક રીતે નબળી પડી ગઈ હતી. તેની પાસે પૈસા ન હોવાથી તે વૈશાલીને આર્થિક મદદ કરતો હતો.

રાહુલે પોલીસ સમક્ષ કબૂલાત પણ કરી હતી કે વૈશાલી સાથે તેની સારી મિત્રતા હતી. તેણે એવું પણ કહ્યું કે વૈશાલી તેના પિતાની મદદ લેવા માંગતી ન હતી અને તેથી જ તેણે અભિનેત્રીને ઘણી વખત પૈસાની મદદ કરી હતી. પરંતુ પોલીસને રાહુલના આ દાવા પર કોઈ વિશ્વાસ નથી. આમ છતાં પોલીસ હવે રાહુલ અને વૈશાલીના બેંક ખાતાની પણ તપાસ કરશે. 

પોલીસે કહ્યું, કે રાહુલ તપાસમાં સહકાર આપી રહ્યો નથી. આવી સ્થિતિમાં જો જરૂર પડે તો તેનો નાર્કો ટેસ્ટ કરાવવા માટે કોર્ટની પરવાનગી પણ લઈ શકાય છે. પોલીસે રાહુલ નવલાનીના ત્રણ મોબાઈલ ફોન કબજે કર્યા હતા. વૈશાલીની આત્મહત્યા બાદ રાહુલે તેનો ડેટા ડિલીટ કરી નાખ્યો હતો. અલબત્ત પોલીસે બે મોબાઈલનો ડેટા રિકવર કર્યો છે, પરંતુ ત્રીજા ફોનમાં સમસ્યા સામે આવી રહી છે. એક ન્યૂઝ ચેનલના રિપોર્ટ અનુસાર ત્રીજો ફોન આઇફોન છે, જેનો લોક ન ખૂલવાને કારણે પોલીસની ચિંતા વધી ગઈ છે. આ અંગે પોલીસે આઈફોન કંપનીને મદદ માટે પત્ર પણ લખ્યો છે. ઉપરાંત રાહુલે પોલીસ સમક્ષ પોતાની પત્ની વિશે કંઈ કહેવાનો ઇન્કાર કર્યો હતો. પોલીસ એની શોધખોળ ચલાવી રહી છે. શક્ય છે કે પોલીસને તેની પાસેથી કેસના કોઈ અન્ય પુરાવા મળી આવે. 

અહીં એ વાત પણ નોંધપાત્ર છે કે ગયા વર્ષે વૈશાલીનું પ્રથમ સગપણ કેન્યા સ્થિત ડેન્ટલ સર્જન અભિનંદનસિંઘ સાથે થયેલું જે કોઈ કારણથી તૂટી ગયું હતું.

(‘અભિયાન’ મેગેઝિનના ૧૨ નવેમ્બર, ૨૦૨૨ના અંકમાં આ લેખ થોડો ટૂંકાવીને પ્રગટ  થયો હતો.)

Monday, 5 September 2022

પગ મને ધોવા દ્યો રઘુરાય!

હું જ્યારે પણ ધ્રોલમાં જાઉં છું અને પડધરીના નાકા પાસે તૂટેલી દીવાલો, બાવળની ઝાડીઓ વચ્ચે એક ખંડિયેર જોઉં છું ત્યારે મન ખિન્ન થઈ જાય છે. એ ખંડિયેરમાં મારી નિશાળ ચાલતી હતી. તાલુકા શાળા નંબર ૨. બાજુમાં ત્રણેક ફૂટ નીચું નાનકડું મેદાન. શાળાના ચોગાનમાં ડાબી બાજુ, એક નાનો લીમડો, જે ક્યારેય ઘેઘૂર થયો જ નહિ, હા એના થડમાંથી ગૂંદર નીકળતું. એની નજીક એક ઊંચું ઝાડ હતું. એની માથે કાગડા માળા બનાવતા, લાંબી જાડી સાંઠીકડીઓ, ચવાયેલા દાતણો વડે. જોકે એ ઝાડનું નામ મને યાદ નથી. હા એટલું યાદ છે કે એનું થડ લીમડાના થડ કરતાં રૂપાળું હતું. એને સફેદ ફૂલ થતાં, એ ફૂલની અમે સીટી બનાવીને સિસોટી વગાડતા. છેક ડાબી બાજુ વડનું ઝાડ હતું. એ પણ શાળા પૂરી કરી ત્યાં સુધી બટકું જ રહ્યું. એ બાજું ઉઘાડા પગે જતા વિદ્યાર્થીઓને પગમાં કાંટાદાર ગોખરું ખૂંચી જતા. આ ગોખરું ક્યાંથી આવતા હતા, શેમાંથી ઉત્પન્ન થતાં એ મારા માટે આજેય કોયડો છે. 

મેદાનમાં મોટા ભાગે બેટદડેથી રમવાનું બનતું અથવા તો છૂટ્ટી દડી. અમારા એક શિક્ષક હતા ચંદુ સાહેબ. તેમની પર્સનાલિટી ટનાટન હતી. સહેજ ફાંદ હતી પણ આમ ફિટ હતા. ઇસ્રીદાર શર્ટ-પેન્ટ, ચપ્પલ પહેરતા. ક્લીનશેવ રહેતા. તેલ નાખીને માથું ઓળતા. વાળ ટૂંકા રાખતા. શિયાળામાં અડધી બાંયનું સ્વેટર પહેરતા. એમના શરીરમાં ગબજ સ્ફૂર્તિ હતી. શાળાનો સમય બપોરનો હોય ત્યારે ૧૫ મિનિટની રિસેસમાં તેઓ પગપાળા ઘરે જતા અને ઘરે પાંચ મિનિટની વામકુક્ષી કરીને પાંચ મિનિટમાં નિશાળે પહોંચી જતા.

છોકરાઓમાં ચંદુ સાહેબની રાડ પણ બહુ બોલતી. ખાસ કરીને એમના ચીંટિયાની. અમારી સ્કૂલ ખાલી છોકરાઓની જ હતી. તોફાની છોકરાઓને સાથળ અને બગલમાં ચંદુ સાહેબ એવા ચીંટિયા લેતા કે છઠ્ઠીના ધાવણ યાદ આવી જતા. વાને ગોરા હોય એવા છોકરાંઉને તો લીલા ચાંભા પડી જતા.

મને યાદ છે ત્યાં સુધી એક દિવસ હું અને મારો નામેરી દોસ્ત અમે બન્ને વ્હોરા છોકરાઓ સાથે બથોબથીએ આવી ગયા હતા. એ વાતની જાણ ચંદુ સાહેબને થઈ અને તેમણે અમારો વારો કાઢ્યો. અમે કહ્યું, ‘સાહેબ અમે તો મસ્તી કરતા હતા.’ સાહેબ બોલ્યા, ‘મસ્તીની માનો ક્યાં ટાંગો મારો છો!’ અલબત્ત ચંદુ સાહેબ ક્યારેય બિભત્સ ગાળ બોલ્યાનું સ્મરણ નથી. અમે તેમને તમાકુ ચોળતા, પાન-માવો ખાતા, બીડી સિગારેટ ફૂંકતા પણ જોયા નથી. 

તેમને સમાચાર વાંચવાની ઇચ્છા થતી ત્યારે કોઈ છોકરાને મોકલીને નજીકના વાણિયા ચોકમાં આવેલી કરિયાણાની દુકાનેથી છાપું મંગાવી લેતા. હા, એ છાપું દુકાન પાસે રહેતા કોઈ મહિલા વાંચવા લઈ ગયા હોય તો સાહેબ છોકરાને રસથી પૂછતાં કે એ કોણ?

ચંદુ સાહેબ એક અનોખા મિજાજના માણસ હતા. ચિત્રકામ પર એમને હથોટી હતી. શાળામાં ભગતસિંહ, મહારાણા પ્રતાપના ચિત્રો તેમણે બનાવ્યાનું ધૂંધણું સ્મરણ છે. શિયાળામાં ટાઢ ઉડાડવા તેઓ અમારી સાથે ક્રિકેટ રમતા. પણ એમનો શિરસ્તો એ રહેતો કે તેઓ બેટ હાથમાં લે એટલે બસ પોતે જ રમ્યા કરે અને બોલ ઉપાડે એટલે બધા છોકરાંઓએ જ રમવાનું, તેઓ બોલ નાખતા રહે. 

ક્યારેક એમને તાન ચડી જાય તો સવારની પ્રાર્થના વખતે ભજન પણ ગાઈ નાખતા. ‘પગ મને ધોવા દ્યો રઘુરાય’ એમના મોઢેથી સાંભળ્યાનું ભુલાયું નથી. તેઓ મોટા ભાગે નાકથી ગાતા. નાકથી યાદ આવ્યું, એમની છીંક પણ ભયંકર હતી. હા-ક-છીં કરે એટલે એની તીણી ચીસથી આખી નિશાળ ગાજી ઊઠતી. ક્યારેક છીંક આવતા આવતા અટકી ગઈ હોય તો સાહેબ રૂમની બહાર જઈને તડકા તરફ જોતા અને તરત જ હાકછી થઈ જતું. 

સ્કૂલમાં બે સહપાઠી મિત્રો હતા સમીર અને પ્રિયંક. બન્નેના પિતા સરકારી અધિકારી. સમીર અને પ્રિયંક બન્ને અભ્યાસમાં હોશિયાર. ચંદુ સાહેબ તેમને લગભગ અઠવાડિયે (કદાચ દર શનિવારે) રમાતી ક્રિકેટ મેચમાં કેપ્ટન બનાવતા. સમીર અને પ્રિયંક ચંદુ સાહેબને ત્યાં ટ્યુશને પણ જતા. એક વખત મને પણ થયું કે હું પણ સાહેબના ટ્યુશને જાઉં. સ્ટવ, ટોર્ચ, પેટ્રોમેક્સ, ફાનસ, વગેરેનું રિપેરિંગ કરીને અમારું પેટ ભરતા મારા પિતાએ હા તો પાડી પણ પછી ૫૦ રૂપિયાની ફી મોંઘી લાગી એટલે ટ્યુશન બંધ કરવું પડ્યું. એક મહિનો હું ટ્યુશને ગયો. મહિનાના અંતે ચંદુ સાહેબે નિશાળમાં જાહેર કર્યું, ‘આજે ઇમરાન કેપ્ટન બનશે.’ મેચ શરૂ થાય એ પહેલાં મેં એમને કહ્યું, ‘સાહેબ, હવેથી હું ટ્યુશને નહિ આવી શકું.’ પછી તેમણે મને કેપ્ટન બનાવવાનો નિર્ણય કેન્સલ કરી નાખ્યો હતો. 

ચંદુ સાહેબ એક-બે ધોરણ સુધી નહિ પણ લગભગ ધો.૪થી છેક ૭મા ધોરણ સુધી અમારા સાહેબ રહ્યા હતા. 

(લખ્યા તારીખ: ૨ જાન્યુઆરી, ૨૦૨૧)

Wednesday, 17 August 2022

મારું નામ ઇતિહાસમાંથી જલદી ભૂંસાઈ નહિ જાય

ગુજરાતી સાહિત્યનો આધુનિક યુગ શરૂ થયો ત્યારે કવિતા હજી પાશ્ચાત્ય અસર હેઠળ હતી. એ યુગમાં કવિ કાન્તની પ્રતિભાએ જન્મ લીધો. પહેલીવાર અર્વાચીન ગુજરાતી કવિતાની પ્રૌઢ મુદ્રા તેમનાં કવનમાં દેખાઈ. પૂર્વ-પશ્ચિમ સાહિત્યધારાનો સંગમ ધરાવતી છતાં સંપૂર્ણ આગવી તેમની કાવ્યબાની આજે પણ મન મોહી લે છે. તેમણે આપણી વચ્ચેથી વિદાય લીધી એ વાતને ગઈ ૧૬ જૂનથી ૧૦૦મું વરસ બેઠું. દસ દાયકા પછી પણ એમનાં કાવ્યો સદાબહાર છે.



એક વખત કવિ યોગેશ જોશી કવિ યજ્ઞેશ દવે અને તેમના વિદેશી મિત્ર સાથે ઉમાશંકર જોશીના ઘરે પહોંચ્યા. વાતચીત દરમ્યાન કવિ કાન્તનો ઉલ્લેખ થયો. ઉમાશંકરે કાન્તના કાવ્ય સાગર અને શશિની પંક્તિઓનું પઠન કર્યું:

આજ, મહારાજ! જલ પર ઉદય જોઈને
ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે,
સ્નેહઘન, કુસુમવન વિમલ પરિમલ ગહન,
નિજ ગગન માંહી ઉત્કર્ષ પામે;
પિતા! કાલના સર્વ સંતાપ શામે!

ભારતના પ્રવાસે આવેલા વિદેશી મિત્ર ગુજરાતી ભાષા ન જાણતા હોવા છતાં તરત બોલી ઉઠ્યા, ‘આ કાવ્યમાં સમુદ્ર વિશેની કોઈ વાત છે?’ કાન્તના છંદોલયનો એ ચમત્કાર કે ભાષા ન જાણનાર પણ એનો ભાવ પામી ગયો.

મૂળ નામ મણિશંકર રત્નજી ભટ્ટ કરતાં ઉપનામથી વધુ જાણીતા આ કવિ કાન્ત નવેમ્બર ૨૦, ૧૮૬૭ના રોજ  અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ચાવંડ ગામમાં જન્મ્યા હતા. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ માંગરોળ, મોરબી અને રાજકોટમાં મેળવ્યું. મોરબીમાં શાસ્ત્રી શંકરલાલ માહેશ્વરને ત્યાં કવિતાવિલાસ ચાલતો. તેમાં વ્રજભાષાની ચમત્કૃતિભરી શૈલીમાં કાવ્યરચનાઓ થતી. સંસ્કૃતમાં પણ વૈવિધ્યભર્યા અને શુદ્ધ છંદોવિધાન ધરાવતા કાવ્યો રચાતાં. આ કવિતાવિલાસમાં સહભાગી થવું તેમને ઘણું સાહિત્યસર્જનમાં ઉપયોગી બન્યું.

તેઓ ૧૮૮૮માં મુંબઈમાંથી લૉજિક અને મૉરલ ફિલોસોફીના વિષયો સાથે સ્નાતક થયા. પશ્ચિમ જગતના બુદ્ધિવાદે એમને અજ્ઞેયવાદી બનાવ્યા, નીતિશાસ્ત્રના અભ્યાસે જીવનના ગહનગંભીર પ્રશ્નો એમની સમક્ષ ઊભા કર્યા. ઉત્તમ અધ્યાપકની મદદથી સાહિત્યના વધુ નજીક ગયા. બળવંતરાય ઠાકોર જેવા કવિમિત્રો મળ્યા. અંગ્રેજી, પ્રાચીન ગ્રીક, યુરોપિય સાહિત્યનું રસપાન કરી તૃપ્ત થયા. કવિઓ અને નાટકો જ નહિ, ઇતિહાસકારો, તત્ત્વચિંતકોથી પણ તેઓ પ્રભાવિત થયા. એના લીધે એમની કાવ્યરુચિ અનોખી રીતે ઘડાઈ હતી. અંગ્રેજી કવિતા સમૃદ્ધિથી કાન્ત એટલા અંજાયા હતા કે માથું હલાવે એવી કવિતા સંસ્કૃતમાં ખરી પણ વાંચતાં હૃદયમાં વાઇબ્રેશન થઈ જાય એવી કવિતા તો અંગ્રેજીમાં જ દેખાય એવું તેઓ માનતા.

૧૮૮૯માં થોડો વખત સુરતમાં શિક્ષક તરીકે કામ કર્યા પછી ૧૮૯૦થી ૧૮૯૮ સુધી વડોદરાના કલાભવનમાં સાહિત્યશાસ્ત્રના અધ્યાપક, વાઈસ પ્રિન્સિપાલ અને ટ્રેનિંગ કોલેજના આચાર્ય તરીકે રહ્યા હતા. આ દરમિયાન ૧૮૯૧માં પ્રથમ પત્નીનું અવસાન થયું, એ કારણે તેઓ ભારે આઘાતમાં સરી પડ્યા હતા. એમના હૃદયને જડ બુદ્ધિવાદ અને અજ્ઞેયવાદથી સંતોષ નહોતો અને થિયોસોફીના રહસ્યવાદથી તેઓ આ પહેલાં અત્યંત આકર્ષાયા હતા, પણ હવે તેઓ ઈશ્વરના અસ્તિત્વને માનતા અને ભક્તિની આવશ્યકતાને સ્વીકારતા થઈ ગયા હતા. ૧૮૯૮માં આ કશમકશ વચ્ચે લગ્નસ્નેહની દિવ્યતા પ્રબોધતા તથા સ્વર્ગમાં પણ સ્ત્રીપુરુષના આત્માના મિલનની ખાતરી આપતા સ્વીડનબોર્ગીય ખ્રિસ્તી ધર્મમાં તેઓ જોડાયા હતા. એમણે ભાવનગર ગયા પછી ૧૯૦૦માં ધર્મપરિવર્તનને જાહેર કરતાં જ્ઞાતિના બહિષ્કાર સહિતની યાતના વેઠવી પડી હતી. છેવટે પત્ની અને સંતાનને ખાતર સ્વધર્મમાં પાછા ફર્યા હતા. આ સમયગાળા દરમ્યાન ૧૮૯૮થી ૧૯૨૩ સુધી એમણે ભાવનગર રાજ્યમાં શિક્ષણ અધિકારી તરીકે અને પછીથી દીવાન ઑફિસમાં કામગીરી બજાવી.

ગુજરાતી કવિતાની એક ઘટના તરીકે ઓળખાતા કાન્તમાટે તેમનાં ખંડકાવ્યો તેમની ખાસ ઓળખ બન્યાં. તેમણે સંસ્કૃત ખંડકાવ્ય કરતાં બહુ જુદા પ્રકારનાં ગુજરાતી ખંડકાવ્ય સર્જ્યાં. ભાષાનું બેનમૂન સૌંદર્ય અને શૌભા એમાં જોઈ શકાય છે. વસંતવિજય’, ‘ચક્રવાક મિથુનઅને દેવયાનીઆ ત્રણેય તેમનાં સર્વોત્તમ ખંડકાવ્યો માનવામાં આવે છે.  જોકે ખંડકાવ્યો કરતાં તેમનાં ઊર્મિકાવ્યો પ્રમાણમાં વધારે છે, જેમાં ઉપહાર’, ‘ઉદ્ગાર’, ‘વત્સલનાં નયનોઅને સાગર અને શશીમુખ્ય છે. તેમણે આગવી શૈલીમાં પ્રકૃતિ, પ્રેમ, પ્રભુનિષ્ઠા જેવા સનાતન વિષયો નિરૂપ્યા છે.

કાવ્યો, નાટકો, વિવેચન ઉપરાંત કાન્તના પત્રો પણ મહત્ત્વના ગણાય છે. દર્શના ધોળકિયાએ સંપાદિત કરેલા ગ્રંથમાં એમના ૭૦૦ પત્રોને સમાવ્યા છે. જેમાં કવિના અંગત જીવન, મૈત્રિ સંબંધ અને સાહિત્યવિચાર વિશે વિશેષ માહિતી મળે છે. પોતાની કવિતાઓ વિશે તેઓ મિત્રોના સ્પષ્ટ અભિપ્રાયને આવકારતાં, કોઈ ભૂલ ચીંધી બતાવે તો રાજી થતાં.

એક પત્રમાં તેઓ લખે છે કે મ્હને ધાસ્તી રહે છે કે હું થોડાં વર્ષમાં કવિ મટી જવાનો...જ્યારે રમાનામના કાવ્યની બળવંતરાયે ટીકા કરી ત્યારે એને સ્વસ્થતાથી ઝીલી અને અન્ય મિત્રને પત્રમાં લખ્યું, ‘…મને મારા હૃદય પર આસ્થા છે અને હું અવશ્ય માનું છું કે મારું નામ ગુજરાતી સાક્ષરમંડળના ઇતિહાસમાંથી જલદી ભૂંસાઈ નહીં જાય.

આ પ્રકારે પોતાના સર્જન પ્રત્યે શ્રદ્ધાવાન કવિ કાન્ત ૧૯૨૩માં કાશ્મીરના પ્રવાસે ગયા, ત્યાંથી પાછા ફરતા રાવળપિંડીથી લાહોર આવતી મેલ ટ્રેનમાં તેમને અંતિમ શ્વાસ લીધા હતા. બરાબર એ જ દિવસે તેમનો એકમાત્ર કાવ્યસંગ્રહ પૂર્વાલાપપ્રગટ થયો હતો.



Featured post

રાજકોટની એક વાર્તાશિબિરનો અધૂરો અહેવાલ

(રાજકોટમાં  સાહિત્યિક મંડળ ‘ભારવિ’ દ્વારા  એક વાર્તાશિબિરનું આયોજન થયું હતું . મારી ડાયરીમાં એનો શીર્ષક વિનાનો , અધૂરો , ઉતાવળિયો અને કાચ...