Monday, 5 September 2022

પગ મને ધોવા દ્યો રઘુરાય!

હું જ્યારે પણ ધ્રોલમાં જાઉં છું અને પડધરીના નાકા પાસે તૂટેલી દીવાલો, બાવળની ઝાડીઓ વચ્ચે એક ખંડિયેર જોઉં છું ત્યારે મન ખિન્ન થઈ જાય છે. એ ખંડિયેરમાં મારી નિશાળ ચાલતી હતી. તાલુકા શાળા નંબર ૨. બાજુમાં ત્રણેક ફૂટ નીચું નાનકડું મેદાન. શાળાના ચોગાનમાં ડાબી બાજુ, એક નાનો લીમડો, જે ક્યારેય ઘેઘૂર થયો જ નહિ, હા એના થડમાંથી ગૂંદર નીકળતું. એની નજીક એક ઊંચું ઝાડ હતું. એની માથે કાગડા માળા બનાવતા, લાંબી જાડી સાંઠીકડીઓ, ચવાયેલા દાતણો વડે. જોકે એ ઝાડનું નામ મને યાદ નથી. હા એટલું યાદ છે કે એનું થડ લીમડાના થડ કરતાં રૂપાળું હતું. એને સફેદ ફૂલ થતાં, એ ફૂલની અમે સીટી બનાવીને સિસોટી વગાડતા. છેક ડાબી બાજુ વડનું ઝાડ હતું. એ પણ શાળા પૂરી કરી ત્યાં સુધી બટકું જ રહ્યું. એ બાજું ઉઘાડા પગે જતા વિદ્યાર્થીઓને પગમાં કાંટાદાર ગોખરું ખૂંચી જતા. આ ગોખરું ક્યાંથી આવતા હતા, શેમાંથી ઉત્પન્ન થતાં એ મારા માટે આજેય કોયડો છે. 

મેદાનમાં મોટા ભાગે બેટદડેથી રમવાનું બનતું અથવા તો છૂટ્ટી દડી. અમારા એક શિક્ષક હતા ચંદુ સાહેબ. તેમની પર્સનાલિટી ટનાટન હતી. સહેજ ફાંદ હતી પણ આમ ફિટ હતા. ઇસ્રીદાર શર્ટ-પેન્ટ, ચપ્પલ પહેરતા. ક્લીનશેવ રહેતા. તેલ નાખીને માથું ઓળતા. વાળ ટૂંકા રાખતા. શિયાળામાં અડધી બાંયનું સ્વેટર પહેરતા. એમના શરીરમાં ગબજ સ્ફૂર્તિ હતી. શાળાનો સમય બપોરનો હોય ત્યારે ૧૫ મિનિટની રિસેસમાં તેઓ પગપાળા ઘરે જતા અને ઘરે પાંચ મિનિટની વામકુક્ષી કરીને પાંચ મિનિટમાં નિશાળે પહોંચી જતા.

છોકરાઓમાં ચંદુ સાહેબની રાડ પણ બહુ બોલતી. ખાસ કરીને એમના ચીંટિયાની. અમારી સ્કૂલ ખાલી છોકરાઓની જ હતી. તોફાની છોકરાઓને સાથળ અને બગલમાં ચંદુ સાહેબ એવા ચીંટિયા લેતા કે છઠ્ઠીના ધાવણ યાદ આવી જતા. વાને ગોરા હોય એવા છોકરાંઉને તો લીલા ચાંભા પડી જતા.

મને યાદ છે ત્યાં સુધી એક દિવસ હું અને મારો નામેરી દોસ્ત અમે બન્ને વ્હોરા છોકરાઓ સાથે બથોબથીએ આવી ગયા હતા. એ વાતની જાણ ચંદુ સાહેબને થઈ અને તેમણે અમારો વારો કાઢ્યો. અમે કહ્યું, ‘સાહેબ અમે તો મસ્તી કરતા હતા.’ સાહેબ બોલ્યા, ‘મસ્તીની માનો ક્યાં ટાંગો મારો છો!’ અલબત્ત ચંદુ સાહેબ ક્યારેય બિભત્સ ગાળ બોલ્યાનું સ્મરણ નથી. અમે તેમને તમાકુ ચોળતા, પાન-માવો ખાતા, બીડી સિગારેટ ફૂંકતા પણ જોયા નથી. 

તેમને સમાચાર વાંચવાની ઇચ્છા થતી ત્યારે કોઈ છોકરાને મોકલીને નજીકના વાણિયા ચોકમાં આવેલી કરિયાણાની દુકાનેથી છાપું મંગાવી લેતા. હા, એ છાપું દુકાન પાસે રહેતા કોઈ મહિલા વાંચવા લઈ ગયા હોય તો સાહેબ છોકરાને રસથી પૂછતાં કે એ કોણ?

ચંદુ સાહેબ એક અનોખા મિજાજના માણસ હતા. ચિત્રકામ પર એમને હથોટી હતી. શાળામાં ભગતસિંહ, મહારાણા પ્રતાપના ચિત્રો તેમણે બનાવ્યાનું ધૂંધણું સ્મરણ છે. શિયાળામાં ટાઢ ઉડાડવા તેઓ અમારી સાથે ક્રિકેટ રમતા. પણ એમનો શિરસ્તો એ રહેતો કે તેઓ બેટ હાથમાં લે એટલે બસ પોતે જ રમ્યા કરે અને બોલ ઉપાડે એટલે બધા છોકરાંઓએ જ રમવાનું, તેઓ બોલ નાખતા રહે. 

ક્યારેક એમને તાન ચડી જાય તો સવારની પ્રાર્થના વખતે ભજન પણ ગાઈ નાખતા. ‘પગ મને ધોવા દ્યો રઘુરાય’ એમના મોઢેથી સાંભળ્યાનું ભુલાયું નથી. તેઓ મોટા ભાગે નાકથી ગાતા. નાકથી યાદ આવ્યું, એમની છીંક પણ ભયંકર હતી. હા-ક-છીં કરે એટલે એની તીણી ચીસથી આખી નિશાળ ગાજી ઊઠતી. ક્યારેક છીંક આવતા આવતા અટકી ગઈ હોય તો સાહેબ રૂમની બહાર જઈને તડકા તરફ જોતા અને તરત જ હાકછી થઈ જતું. 

સ્કૂલમાં બે સહપાઠી મિત્રો હતા સમીર અને પ્રિયંક. બન્નેના પિતા સરકારી અધિકારી. સમીર અને પ્રિયંક બન્ને અભ્યાસમાં હોશિયાર. ચંદુ સાહેબ તેમને લગભગ અઠવાડિયે (કદાચ દર શનિવારે) રમાતી ક્રિકેટ મેચમાં કેપ્ટન બનાવતા. સમીર અને પ્રિયંક ચંદુ સાહેબને ત્યાં ટ્યુશને પણ જતા. એક વખત મને પણ થયું કે હું પણ સાહેબના ટ્યુશને જાઉં. સ્ટવ, ટોર્ચ, પેટ્રોમેક્સ, ફાનસ, વગેરેનું રિપેરિંગ કરીને અમારું પેટ ભરતા મારા પિતાએ હા તો પાડી પણ પછી ૫૦ રૂપિયાની ફી મોંઘી લાગી એટલે ટ્યુશન બંધ કરવું પડ્યું. એક મહિનો હું ટ્યુશને ગયો. મહિનાના અંતે ચંદુ સાહેબે નિશાળમાં જાહેર કર્યું, ‘આજે ઇમરાન કેપ્ટન બનશે.’ મેચ શરૂ થાય એ પહેલાં મેં એમને કહ્યું, ‘સાહેબ, હવેથી હું ટ્યુશને નહિ આવી શકું.’ પછી તેમણે મને કેપ્ટન બનાવવાનો નિર્ણય કેન્સલ કરી નાખ્યો હતો. 

ચંદુ સાહેબ એક-બે ધોરણ સુધી નહિ પણ લગભગ ધો.૪થી છેક ૭મા ધોરણ સુધી અમારા સાહેબ રહ્યા હતા. 

(લખ્યા તારીખ: ૨ જાન્યુઆરી, ૨૦૨૧)

Wednesday, 17 August 2022

મારું નામ ઇતિહાસમાંથી જલદી ભૂંસાઈ નહિ જાય

ગુજરાતી સાહિત્યનો આધુનિક યુગ શરૂ થયો ત્યારે કવિતા હજી પાશ્ચાત્ય અસર હેઠળ હતી. એ યુગમાં કવિ કાન્તની પ્રતિભાએ જન્મ લીધો. પહેલીવાર અર્વાચીન ગુજરાતી કવિતાની પ્રૌઢ મુદ્રા તેમનાં કવનમાં દેખાઈ. પૂર્વ-પશ્ચિમ સાહિત્યધારાનો સંગમ ધરાવતી છતાં સંપૂર્ણ આગવી તેમની કાવ્યબાની આજે પણ મન મોહી લે છે. તેમણે આપણી વચ્ચેથી વિદાય લીધી એ વાતને ગઈ ૧૬ જૂનથી ૧૦૦મું વરસ બેઠું. દસ દાયકા પછી પણ એમનાં કાવ્યો સદાબહાર છે.



એક વખત કવિ યોગેશ જોશી કવિ યજ્ઞેશ દવે અને તેમના વિદેશી મિત્ર સાથે ઉમાશંકર જોશીના ઘરે પહોંચ્યા. વાતચીત દરમ્યાન કવિ કાન્તનો ઉલ્લેખ થયો. ઉમાશંકરે કાન્તના કાવ્ય સાગર અને શશિની પંક્તિઓનું પઠન કર્યું:

આજ, મહારાજ! જલ પર ઉદય જોઈને
ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે,
સ્નેહઘન, કુસુમવન વિમલ પરિમલ ગહન,
નિજ ગગન માંહી ઉત્કર્ષ પામે;
પિતા! કાલના સર્વ સંતાપ શામે!

ભારતના પ્રવાસે આવેલા વિદેશી મિત્ર ગુજરાતી ભાષા ન જાણતા હોવા છતાં તરત બોલી ઉઠ્યા, ‘આ કાવ્યમાં સમુદ્ર વિશેની કોઈ વાત છે?’ કાન્તના છંદોલયનો એ ચમત્કાર કે ભાષા ન જાણનાર પણ એનો ભાવ પામી ગયો.

મૂળ નામ મણિશંકર રત્નજી ભટ્ટ કરતાં ઉપનામથી વધુ જાણીતા આ કવિ કાન્ત નવેમ્બર ૨૦, ૧૮૬૭ના રોજ  અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ચાવંડ ગામમાં જન્મ્યા હતા. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ માંગરોળ, મોરબી અને રાજકોટમાં મેળવ્યું. મોરબીમાં શાસ્ત્રી શંકરલાલ માહેશ્વરને ત્યાં કવિતાવિલાસ ચાલતો. તેમાં વ્રજભાષાની ચમત્કૃતિભરી શૈલીમાં કાવ્યરચનાઓ થતી. સંસ્કૃતમાં પણ વૈવિધ્યભર્યા અને શુદ્ધ છંદોવિધાન ધરાવતા કાવ્યો રચાતાં. આ કવિતાવિલાસમાં સહભાગી થવું તેમને ઘણું સાહિત્યસર્જનમાં ઉપયોગી બન્યું.

તેઓ ૧૮૮૮માં મુંબઈમાંથી લૉજિક અને મૉરલ ફિલોસોફીના વિષયો સાથે સ્નાતક થયા. પશ્ચિમ જગતના બુદ્ધિવાદે એમને અજ્ઞેયવાદી બનાવ્યા, નીતિશાસ્ત્રના અભ્યાસે જીવનના ગહનગંભીર પ્રશ્નો એમની સમક્ષ ઊભા કર્યા. ઉત્તમ અધ્યાપકની મદદથી સાહિત્યના વધુ નજીક ગયા. બળવંતરાય ઠાકોર જેવા કવિમિત્રો મળ્યા. અંગ્રેજી, પ્રાચીન ગ્રીક, યુરોપિય સાહિત્યનું રસપાન કરી તૃપ્ત થયા. કવિઓ અને નાટકો જ નહિ, ઇતિહાસકારો, તત્ત્વચિંતકોથી પણ તેઓ પ્રભાવિત થયા. એના લીધે એમની કાવ્યરુચિ અનોખી રીતે ઘડાઈ હતી. અંગ્રેજી કવિતા સમૃદ્ધિથી કાન્ત એટલા અંજાયા હતા કે માથું હલાવે એવી કવિતા સંસ્કૃતમાં ખરી પણ વાંચતાં હૃદયમાં વાઇબ્રેશન થઈ જાય એવી કવિતા તો અંગ્રેજીમાં જ દેખાય એવું તેઓ માનતા.

૧૮૮૯માં થોડો વખત સુરતમાં શિક્ષક તરીકે કામ કર્યા પછી ૧૮૯૦થી ૧૮૯૮ સુધી વડોદરાના કલાભવનમાં સાહિત્યશાસ્ત્રના અધ્યાપક, વાઈસ પ્રિન્સિપાલ અને ટ્રેનિંગ કોલેજના આચાર્ય તરીકે રહ્યા હતા. આ દરમિયાન ૧૮૯૧માં પ્રથમ પત્નીનું અવસાન થયું, એ કારણે તેઓ ભારે આઘાતમાં સરી પડ્યા હતા. એમના હૃદયને જડ બુદ્ધિવાદ અને અજ્ઞેયવાદથી સંતોષ નહોતો અને થિયોસોફીના રહસ્યવાદથી તેઓ આ પહેલાં અત્યંત આકર્ષાયા હતા, પણ હવે તેઓ ઈશ્વરના અસ્તિત્વને માનતા અને ભક્તિની આવશ્યકતાને સ્વીકારતા થઈ ગયા હતા. ૧૮૯૮માં આ કશમકશ વચ્ચે લગ્નસ્નેહની દિવ્યતા પ્રબોધતા તથા સ્વર્ગમાં પણ સ્ત્રીપુરુષના આત્માના મિલનની ખાતરી આપતા સ્વીડનબોર્ગીય ખ્રિસ્તી ધર્મમાં તેઓ જોડાયા હતા. એમણે ભાવનગર ગયા પછી ૧૯૦૦માં ધર્મપરિવર્તનને જાહેર કરતાં જ્ઞાતિના બહિષ્કાર સહિતની યાતના વેઠવી પડી હતી. છેવટે પત્ની અને સંતાનને ખાતર સ્વધર્મમાં પાછા ફર્યા હતા. આ સમયગાળા દરમ્યાન ૧૮૯૮થી ૧૯૨૩ સુધી એમણે ભાવનગર રાજ્યમાં શિક્ષણ અધિકારી તરીકે અને પછીથી દીવાન ઑફિસમાં કામગીરી બજાવી.

ગુજરાતી કવિતાની એક ઘટના તરીકે ઓળખાતા કાન્તમાટે તેમનાં ખંડકાવ્યો તેમની ખાસ ઓળખ બન્યાં. તેમણે સંસ્કૃત ખંડકાવ્ય કરતાં બહુ જુદા પ્રકારનાં ગુજરાતી ખંડકાવ્ય સર્જ્યાં. ભાષાનું બેનમૂન સૌંદર્ય અને શૌભા એમાં જોઈ શકાય છે. વસંતવિજય’, ‘ચક્રવાક મિથુનઅને દેવયાનીઆ ત્રણેય તેમનાં સર્વોત્તમ ખંડકાવ્યો માનવામાં આવે છે.  જોકે ખંડકાવ્યો કરતાં તેમનાં ઊર્મિકાવ્યો પ્રમાણમાં વધારે છે, જેમાં ઉપહાર’, ‘ઉદ્ગાર’, ‘વત્સલનાં નયનોઅને સાગર અને શશીમુખ્ય છે. તેમણે આગવી શૈલીમાં પ્રકૃતિ, પ્રેમ, પ્રભુનિષ્ઠા જેવા સનાતન વિષયો નિરૂપ્યા છે.

કાવ્યો, નાટકો, વિવેચન ઉપરાંત કાન્તના પત્રો પણ મહત્ત્વના ગણાય છે. દર્શના ધોળકિયાએ સંપાદિત કરેલા ગ્રંથમાં એમના ૭૦૦ પત્રોને સમાવ્યા છે. જેમાં કવિના અંગત જીવન, મૈત્રિ સંબંધ અને સાહિત્યવિચાર વિશે વિશેષ માહિતી મળે છે. પોતાની કવિતાઓ વિશે તેઓ મિત્રોના સ્પષ્ટ અભિપ્રાયને આવકારતાં, કોઈ ભૂલ ચીંધી બતાવે તો રાજી થતાં.

એક પત્રમાં તેઓ લખે છે કે મ્હને ધાસ્તી રહે છે કે હું થોડાં વર્ષમાં કવિ મટી જવાનો...જ્યારે રમાનામના કાવ્યની બળવંતરાયે ટીકા કરી ત્યારે એને સ્વસ્થતાથી ઝીલી અને અન્ય મિત્રને પત્રમાં લખ્યું, ‘…મને મારા હૃદય પર આસ્થા છે અને હું અવશ્ય માનું છું કે મારું નામ ગુજરાતી સાક્ષરમંડળના ઇતિહાસમાંથી જલદી ભૂંસાઈ નહીં જાય.

આ પ્રકારે પોતાના સર્જન પ્રત્યે શ્રદ્ધાવાન કવિ કાન્ત ૧૯૨૩માં કાશ્મીરના પ્રવાસે ગયા, ત્યાંથી પાછા ફરતા રાવળપિંડીથી લાહોર આવતી મેલ ટ્રેનમાં તેમને અંતિમ શ્વાસ લીધા હતા. બરાબર એ જ દિવસે તેમનો એકમાત્ર કાવ્યસંગ્રહ પૂર્વાલાપપ્રગટ થયો હતો.



Wednesday, 15 July 2020

જૂની પેઢીના છેલ્લા સક્રિય કાર્ટૂનિસ્ટ જામી (૨ ડિસેમ્બર,૧૯૪૨-૧૧ જુલાઇ, ૨૦૨૦)

ઇમરાન દલ  dalimran@gmail.com 
કાર્ટૂનિસ્ટોની ખોટ ધરાવતા ગુજરાતમાં વર્ષોથી એકધારી ગુણવત્તા સાથે સામાજિક-રાજકીય કટાક્ષયુક્ત કાર્ટૂન આપતા રહેલા જામીનું ૭૭ વર્ષની વયે અવસાન થયું. તેમની કાર્ટૂન કારકિર્દી ૧૯ વર્ષની કાચી વયે શરૂ થઈ હતી. ‘રંગતરંગ’, ‘જી’, ‘ચાંદની’, ‘ચકચાર’, ‘અંજલિ’, ‘બીજ’ જેવાં ગુજરાતી અને ‘ધર્મયુગ’, ‘માધુરી’, ‘પરાગ’ જેવાં હિન્દી સામયિકોમાં તેમનાં વ્યંગચિત્રો પ્રગટ થવાં લાગ્યાં. પછી ગુજરાતનાં મુખ્ય ધારાનાં પ્રકાશનોની તેમની પર નજર પડી. 
રાજકોટના ‘જય હિન્દ’ અખબારની સાપ્તાહિક પૂર્તિમાં ‘કાર્ટૂન કોર્નર’ નામની તેમની કોલમ વર્ષો સુધી ચાલી. વર્ષ ૧૯૮૭થી ‘અભિયાન’ સાપ્તાહિકમાં શરૂઆતના પાને ‘તિકડમ્’ શીર્ષક હેઠળ તેમનાં કાર્ટૂન શરૂ થયાં, જે તેમના જીવનપર્યંત સતત ચાલુ રહ્યાં. ઉપરાંત ‘સંદેશ’, ‘ગુજરાત ટુડે’, ‘દિવ્ય ભાસ્કર’માં તેમનાં પોકેટ કાર્ટૂન પ્રકાશિત થયાં. એ સિવાય તે અમુક સામાજિક મુખપત્રો, સંસ્થાની વાર્ષિક ડાયરીઓ માટે પણ કાર્ટૂન પૂરાં પાડતા. એક ડાયરી માટે તો એમનાં કાર્ટૂનનો અંગ્રેજી ‘અનુવાદ’ પણ કરવામાં આવ્યો હતો. તે કહેતા કે ‘સારા કાર્ટૂનિસ્ટ માટે ત્રણ ગુણનો સમન્વય જરૂર છે: ચિત્રકાર, પત્રકાર અને વ્યંગકાર.’ 
કટોકટી પછીના મોરારજી દેસાઈના વડાપ્રધાનપદ હેઠળ સરકારે ૧૦ મહિનાના લાંબા સમયગાળા પછીય કોઈ નોંધપાત્ર કામગીરી ન કરી ત્યારે તેમણે એક કાર્ટૂન બનાવેલું, જેમાં મોરારજી દેસાઈનું પેટ ફુલેલું જોઈને સામાન્ય નાગરિક પૂછે છે, ‘‘હવે કોઈ સારા ડૉક્ટરને બતાવો તો કાંઈક પરિણામ આવે.’’ આ કાર્ટૂને ખાસ્સી ચર્ચા જગાવી હતી. જામી કહેતા, ‘‘જેનામાં પત્રકારત્વની દૃષ્ટિ હોય એ જ કાર્ટૂનિસ્ટ બની શકે. પરંતુ કાર્ટૂનિસ્ટને કોઈ પત્રકાર ગણતા નથી. કહો કે ગણવા માગતા નથી. મને પણ એવોર્ડ હાસ્યલેખકોની શ્રેણીમાં અપાયો. હકીકતે કાર્ટૂન એ માત્ર હાસ્ય નથી, કાર્ટૂન ક્યારેક રડાવી પણ જાય છે.’’ જામીનાં થોકબંધ કાર્ટૂન તેમની આ વાતની સાક્ષી પૂરે છે.
જામનગર જિલ્લાના ધ્રોલ શહેરમાં આરબ પરિવારમાં જન્મેલા આવદ હસન જામી ત્રણ ભાઈ અને એક બહેનમાં સૌથી મોટા હતા. જૂની મેટ્રિક સુધી ભણ્યા બાદ ડ્રોઇંગ ટીચરનો અભ્યાસ કર્યો. વર્ષ ૧૯૬૨થી ધ્રોલના અધ્યાપન મંદિરમાં ચિત્રશિક્ષક તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. વર્ષ ૧૯૬૮થી ૨૦૦૧ સુધી જામનગરના કેન્દ્રીય વિદ્યાલયમાં અને વર્ષ. ૨૦૦૧થી ૨૦૦૩ સુધી રાજકોટના કેન્દ્રીય વિદ્યાલયમાં આર્ટ ટીચર તરીકે રહ્યા.
ધ્રોલમાં અમારા ઘર નજીકની શેરીમાં જ જામી કુટુંબનું ઘર. કાર્ટૂનિસ્ટ જામીના લઘુબંધુ જેમને અમે મેસનકાકા કહીએ છીએ, તે વનવિભાગમાં નોકરી કરતા. મેસનકાકા પણ ચિત્રકાર. ખાસ કરીને તૈલચિત્રો બનાવે. એમનાં ચિત્રોને અમે વખાણતાં, ત્યારે ઘરમાં વડીલો કહેતા, ‘‘એના મોટા ભાઈ તો એથીય મોટા કલાકાર છે.’’ એવું પણ સાંભળવા મળતું કે જામીસાહેબનોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા ગયા ત્યારે ઇન્ટરવ્યૂ લેનારનું ચિત્ર બનાવી, એને પ્રભાવિત કરી દીધા હતા. અમારા આડોશપાડોશમાં કાર્ટૂનિસ્ટ જામી ‘મોટા જામીસાહેબ’ તરીકે ઓળખાતા. 
હું હજી કોલેજમાં અભ્યાસ કરતો હતો ત્યારે એક વાર કોઈ પ્રસંગે તેઓ ધ્રોલ આવ્યા હતા. પહેલી વાર વાતચીત કરી ત્યારે સંકોચ સાથે મેં એમને કહ્યું, ‘મને ચિત્રકલામાં રસ છે.’ તે ભારે અવાજમાં આસ્તેથી બોલ્યા, ‘કાર્ટૂન બનાવને, કોઈ બનાવતું નથી.’ વતનમાં જ પછીની મુલાકાત વખતે એમના ઘરની શેરીમાં પ્રવેશતી વખતે ‘આવ’ કહીને તેમણે પીઠ પર હાથ મૂક્યો અને અંદર લઈ ગયા. તેમનો પોશાક સામાન્ય હતો. પેન્ટ અને શર્ટ. સ્મોકિંગ કરતા. ઊંચાં કદકાઠીના હતા, અવાજ વજનદાર. સ્વભાવે એકદમ સરળ અને હસમુખા. ગુજરાતમાં વિદ્યમાન કાર્ટૂનિસ્ટમાં તેમને દેવ ગઢવી ગમતા. એમને યાદ કરીને કહેતા, ‘તેઓ તો સંગીત તરફ વળી ગયા. હવે કોણ કાર્ટૂન બનાવે છે?’ ભારતીય કાર્ટૂનિસ્ટોમાં તેમણે પ્રિય કાર્ટૂનિસ્ટ તરીકે સુધીર દરને ગણાવ્યા હતા જામી પોતાની આગવી શૈલીના કુશળ કાર્ટૂનિસ્ટ હોવા છતાં તેમની વાતોમાં હુંપદ બિલકુલ ન સંભળાતું. 
વર્ષ ૨૦૦૮માં હું ભુજમાં ‘આજકાલ’ દૈનિકમાં નોકરી કરતો ત્યારે એક કાર્યક્રમ માટે તે કચ્છ આવ્યા હતા. કાર્યક્રમ બાદ મેં તેમનો ઇન્ટરવ્યૂ કરેલો. આજે ખરા સમયે જ તેનું કટિંગ ઘરમાં શોધખોળ કર્યા છતાં હાથ ન લાગ્યું. અલબત્ત, મારી ડાયરીમાં એનું શીર્ષક નોંધેલું વંચાય છે: ‘ગુજરાતી પત્રકારત્વમાં કાર્ટૂનકલાનું ભાવિ ધૂંધળું લાગે છે: કાર્ટૂનિસ્ટ જામી’.

(આ લેખ વિચારપત્ર ‘નિરીક્ષક’ સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિના તા.૧૩ જુલાઈ ૨૦૨૦ના અંકમાં પ્રકાશિત થયો હતો.)

Thursday, 10 October 2019

અકબર પદમસી : એકલતાના ઓછાયાનો ચિત્રકાર


અકબરનું પ્રોફેટ નામનું તૈલચિત્ર 
    અકબર પદમસી મુંબઈ ખાતે એપ્રિલ ૧૯૨૮માં જન્‍મ્‍યા હતા. પદમસી મૂળ સૌરાષ્‍ટ્રના મૌવા ગામના વતની, તેઓ ચારણિયા જ્ઞાતિ સાથે સંબંધ ધરાવે છે. તેમના પૂર્વજો ધર્માંતર કરીને આગા ખાનના અનુયાયી તરીકે ખોજા સંપ્રદાયમાં દાખલ થયેલા. અકબરના દાદા જાગીરદાર અને ગામના મુખિયા હતા. એ જમાનામાં તેઓ તત્‍કાલીન આગા ખાનને ગામડાની મુલાકાતે લાવ્યા હતા, એ વાતનું તેઓ ગર્વ લેતા. તેમના દાવા મુજબ આ મુલાકાતે ગામડાની કાયપલટ કરી નાખી. ભૂખમરો દૂર થયો. ગામડું અને તેમનું કુટુંબ સમૃદ્ધ બન્‍યાં.
    
    
અકબર પદમસી
પ્રથમ વિશ્વયુદ્ધથી થોડા સમય પહેલાં મુંબઈના એક વેપારી મૌવા ગામે આવ્‍યા. તેમણે અકબરના પિતા હસન અલીને ફાનસના ફોટા તથા કાચના વાસણના ધંધામાં જોડાવવા માટે મનાવી લીધા. નાના પાયે ધંધો શરૂ કર્યો અને કામ કામને શીખવે એ ઉક્તિ મુજબ તેઓ વધુ ને વધુ ચતુર બનતા ગયા અને સમય જતાં એક કુશળ વેપારી તરીકે કાઠું કાઢ્યું. શરૂઆતના વર્ષો દારુણ ગરીબીમાં પસાર કર્યા બાદ તેમણે મહાનગરમાં પગ જમાવ્‍યા દીધા. જાતે શિક્ષણ મેળવ્‍યું, અંગ્રેજી શીખ્યા અને જર્મનીનો પ્રવાસ કર્યો. મહત્ત્વકાંક્ષી હોવાની સાથે તેઓ બુદ્ધિશાળી પણ હતા, તેમણે નફાનો સોદો કર્યો. જમીન-મકાનમાં રોકાણ કર્યું. પછીના વર્ષોમાં મુંબઈભરમાં તેમની મિલકતમાંથી આવતાં ભાડાં જ તેમની આવકનું સાધન બનવાનાં હતાં. તેમના સંતાનો પણ વારસામાં મળેલી આ આવક પર નભવાનાં હતાં.
    અકબરનો જન્‍મ થયો એ અરસામાં તુરંત તેનું કુટુંબ વિશાળ સંયુક્ત કબીલા અને મુંબઈના પરાં વિસ્‍તારમાં મઝગાંવમાં આવેલા એ ખોજા પરિવેશમાંથી છૂટું પડ્યું. અકબરના માતા-પિતા અને તેના છ મોટા ભાઈઓ તથા બહેનો હવે મલબાર હિલના ઉચ્‍ચ–વર્ગના વિસ્‍તારમાં રહેવા લાગ્‍યા. તેમનું ઘર પૂરતું સુખ-સગવડભર્યું હોવા છતાં સંપૂર્ણ સાદગી ધરાવતું હતું. કરકસરની આદતો કોઇને હાનિ ન પહોંચાડે એ વાતનો પિતા આગ્રહ રાખતા. મોજમજા માટે કોઈ અવકાશ નહોતો, અલબત્ત પ્રસંગોપાત લોનાવાલામાં આવેલા તેમના સમર હાઉસે જવાના બહાને શહેરમાં ફરવા માટે માતા અને બાળકોને છૂટ મળતી. ટ્રેનના થર્ડ ક્લાસમાં તેઓ મુસાફરી કરતા, જ્યારે કુટુંબમાં કમાનારા પોતે એકલા હોવાના નાતે પિતાજી ફર્સ્‍ટ ક્લાસને સ્‍વયંનો અધિકાર સમજતા ! આ સિવાય તેઓ પોતાને માટે કોઈ એવા વિકલ્‍પ રાખતા નહીં, વળી તેમનું એવું કોઇ સામાજિક જીવન પણ નહોતું કે ભપકો પાડાવાની કોઇ સ્‍ટાઇલ પણ નહોતી.
    
    તેઓ થોડે અંશે માણસજાતિ પ્રત્‍યે નફરત ધરાવતા હતા એટલે પરિવારે કોઇ જાતના સંપર્કો ન રાખવા એવો તેમનો હઠાગ્રહ હતો. નિશાળેથી આવ્‍યા બાદ બાળકોને ક્યાંય જવાની મનાઈ હતી, કોઈને મળવાનું પણ નહીં, કઝીનોને પણ નહીં મળવાનું, રખે ને તેઓ કોઇ કુટેવના રવાડે ચડે કે મગજમાં કોઈ ખોટા વિચારો ઠસાઈ જાય. જોકે, પુત્રોને બહાર જવાની છૂટ મળતી, એ પણ કેવળ પિતાની ઓફિસે માત્ર અઠવાડિયામાં એકવાર, જ્યાં તેમને રમત-ગમતની પરવાનગી મળતી. એની પાછળ પિતાનો હેતુ એ રહેતો કે, સંતાનો વ્‍યાપારને આત્‍મસાત કરી લે. મોટા ભાગે તેઓ ખોટા ન ઠર્યા. અકબર સહિત એના તમામ ભાઈઓએ વેપારી કુનેહ હસ્‍તગત કરી. પિતાએ પણ તેમને એ સમયની પ્રતિષ્‍ઠિત સેન્‍ટ ઝેવિયર્સ હાઈસ્‍કૂલમાં ઉત્તમ શિક્ષણ અપાવ્‍યું અને બોમ્‍બે યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ સુધી અભ્‍યાસ પણ કરાવ્‍યો.

(સંદર્ભ ‘કન્‍ટેમ્‍પરરી ઇન્‍ડિયન આર્ટિસ્‍ટ’, લેખકઃ ગીતા કપૂર)


Featured post

રાજકોટની એક વાર્તાશિબિરનો અધૂરો અહેવાલ

(રાજકોટમાં  સાહિત્યિક મંડળ ‘ભારવિ’ દ્વારા  એક વાર્તાશિબિરનું આયોજન થયું હતું . મારી ડાયરીમાં એનો શીર્ષક વિનાનો , અધૂરો , ઉતાવળિયો અને કાચ...